મોરબીમાં કહેવા માટે તો પ્રિમોન્સુન કામગીરી થઈ ગઈ છે પરંતુ ક્યાં કયું સંકટ માણસોને નડી જાય તે કહેવું અઘરું છે, તો આવો જ એક કિસ્સો બન્યો છે મોરબીના સતત ધમધમતા રહેતા રવાપર રોડ પર.
મોરબીના ગાંધી ચોક પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે GEB ના વાયરમાં શોર્ટ સર્કિટ થતા વાયરના બે કટકા થઈ પેટ્રોલ પંપમાંથી બહાર આવતી કારના બોનેટ પર પડ્યો હતો. જીવતો વાયર એકાએક કાર પર પડતા કારમાં સવાર લોકોના જીવ પણ તાળવે ચોંટયા હતા. જો કે, લોકો કારમાં હોવાથી સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ આ ઘટના સાથે જ એક મોટો સવાલ એ પણ થાય કે જો અહીંથી કારના બદલે કોઈ બાઇક ચાલક કે કોઈ વ્યક્તિ પગપાળા નીકળ્યું હોત તો ? જો જીવતા વાયરથી જાનહાનિ થાય તો તેનું જવાબદાર કોણ ?
વાહનો અને માણસોની અવરજવરથી સતત ધમધમતા રહેતા આ રોડ પર દિવસભરમાં હજારો લોકો અહીંથી પસાર થાય છે, સાથે નજીકમાં જ અનેક દુકાનો અને શોપિંગ સેન્ટર આવેલા હોવાથી અનેક લોકો ત્યાંથી પસાર થાય છે ત્યારે અચાનક આ જીવતા વાયર કોઈ માણસ પર કે બાઇક પર પડે તો ન જાણે કેટલાય લોકોને અકારણ દુર્ઘટનાનો ભોગ બનવાનો વારો આવે. ત્યારે આ બનાવથી તંત્રની પ્રિ મોન્સુન કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. તો આ જીવતો વાયર તૂટી થાંભલાથી નીચે પડ્યો રહ્યો છે ત્યારે ત્યાંથી પસાર થતા કોઈનો પગ પણ ત્યાં અડકી શકે છે, બાજુમાં જ પેટ્રોલપંપ હોવાથી જો કોઈ મોટું શોર્ટ સર્કિટ થાય તો મોટી દુર્ઘટના બની શકે છે, તેવામાં અનેક જાનના જોખમ વર્તાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ વાયર તૂટતા જ એ વિસ્તારમાં લાઇટ જતી રહી હતી, તો પેટ્રોલ પંપના જાગૃત કર્મીઓ દ્વારા GEB ને જાણ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.




