મોરબીના ખાટકીવાસ નજીક આજે બપોરના સમયે બે કારમાં આવેલા અજાણ્યા લોકોએ ખાટકીવાસના સ્થાનિક લોકો સાથે માથાકૂટ થતા બન્ને વાહનો મૂકી અજાણ્યા લોકો જતા રહ્યા હતા. બાદમાં પોલીસ આ બનાવ સ્થળેથી વાહનો લેવા જતા લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. જો કે, મુસ્લિમ સમાજના ધર્મગુરુએ દરમિયાનગીરી કરતા સ્થાનિકોએ વાહનો ચેક કરી અહીંથી લઈ જવા માંગ કરી હતી.
તો બીજી તરફ મોરબીના ટોક ઓફ ધી ટાઉન બનેલી આ બબાલ મામલે હાલમાં પોલીસ દ્વારા બન્ને પક્ષની ફરિયાદ નોંધાવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
સુત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, આજે બપોરના સમયે બે અલગ અલગ કારમાં કેટલાક યુવાનો મોરબીના ખાટકીવાસ નજીક ગયા હતા, જ્યાં કતલખાને આવતા પશુઓ બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા અને મામલો હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો. જેમાં બે યુવાનોને ઇજાઓ પણ પહોંચી હતી. આ ઝઘડા બાદ ખાટકીવાસના લોકો એકત્રિત થઈ જતા સામાપક્ષના લોકો પોતાની ગાડીઓ મૂકી જતા રહ્યા હતા.
બીજી તરફ બનાવ અંગે મોરબી પોલીસને જાણ થતાં જ પરિસ્થિતિ તંગ ન બને તે માટે પોલીસ ટીમો બનાવ સ્થળે પહોંચી હતી અને રેઢા પડેલા વાહનો પોલીસ મથકે લઈ જવા કાર્યવાહી શરૂ કરતા લોકોના ટોળા ફરી એકત્રિત થયા હતા. તો પહેલા વાહનો ચેક કરવામાં આવે પછી જ અહીંથી વાહનો લઈ જવા દેવાશે તેવી માંગ કરી હતી. જો કે, મુસ્લિમ સમાજના ધર્મગુરુએ દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હોવાનું અને હાલમાં બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધવા માટે કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.




