મોરબી જિલ્લો સીરામીક નગરી છે, જ્યાં લાખો પરપ્રાંતિયો મજૂરો છે જેના માટે અનેક વખત લાંબા રૂટની ટ્રેનની માંગણી કરવામાં આવી છે પરંતુ તે અપાવવામાં મોરબીના રાજકારણીઓ ફેલ થયા છે.
મોરબીવાસીઓ વર્ષોથી લાંબા અંતરની ટ્રેન ઝંખી રહ્યા હતા ત્યારે વર્ષોની માંગણી બાદ શરુ થયેલી રાજકોટ મોરબી ભૂજ ટ્રેન બંધ કર્યા બાદ હવે ડેમુ ટ્રેનનુ સંચાલન પણ રગડધગડ ચાલી રહ્યું છે. ત્યારે આટલા વર્ષો બાદ પણ ફક્ત મોરબીથી વાંકાનેર ડેમુ ટ્રેન આપી છે અને એ પણ અનિયમિત છે ગમે ત્યારે ટ્રીપ રદ થતી હોય છે મોરબીથી વાકાનેર દરરોજ મુસાફરી કરતા ધંધાર્થીઓ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને ખૂબ હાલાકી પડી રહી છે.
રાજકોટ ડિવિઝન તરફથી ચાલતી આ ડેમુ ટ્રેન ગત 22 જુનથી 10 જુલાઈ દરમિયાન અલગ અલગ 5 દિવસની 30 ટ્રીપ રદ કરી દેવામાં આવી હતી તેમજ આજે 17 જુલાઈ એટલે કે ગુરુવારની તમામ ટ્રીપ રદ કરી દેવામાં આવી છે. રેલ્વે તંત્ર દ્વારા ટેકનીકલ કારણ આપી ડેમુ ટ્રેન રદ કરવામાં આવી છે. ડેમુ ટ્રેનમાં કોઈ ખામી હોય અને તેના રીપેરીંગ માટે લઈ જવામાં આવતી હોય તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી છેલ્લા 22 દીવસમાં રેલ્વે તંત્ર એ 42 ટ્રીપ રદ કરી દેતા અનેક મુસાફરો રઝળી પડે છે ત્યારે રેલ્વે તંત્ર મોરબીવાસીઓ પાસે રહેલી એક માત્ર ડેમુ ટ્રેન સુવિધા છીનવવાના પ્રયાસ ન કરી ડેમુ ટ્રેન અથવા મેમુ ટ્રેન ફાળવે તેવી માંગ ઉઠી છે.




