મોરબીમાં ડિસ્કો દાંડિયા ક્લાસિસ બંધ કરાવવાની માંગ સાથે પાટીદાર સમાજ દ્વારા રવાપર ચોકડીએ કેપિટલ માર્કેટ પાસે પાટીદાર જનક્રાંતિ સભા યોજવામાં આવી હતી. જેમાં અગ્રણીઓ ક્લાસિસની આડમાં દીકરીઓને ફસાવવા સહિતના કૃત્યો થતા હોવાનું જણાવી પાટીદાર પરિવારોને સતર્ક રહેવા અને બહેનો-દીકરીઓને ત્યાં ન મોકલાવા અપીલ કરી હતી.
આ સભામાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, સિરામિક એસોસિએશનના પ્રમુખો મનોજભાઈ પટેલ, હરેશભાઈ બોપલીયા અને અજય લોરીયા સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ સભામાં જાહેરાત કરવામાં આવી છે કે, હવે કન્યા છાત્રાલય ખાતે ગરબા ક્લાસિસ શરૂ કરવામાં આવશે અને તેની નોંધણી રવિવારથી શરૂ કરવામાં આવશે અને સર્વ સમાજની બહેનો જે ગરબા શીખવી શકે તેને સેલેરી આપીને તેની ભરતી પણ કરાશે તેવું જણાવાયુ છે.
પાટીદાર યુવા સેવા સંઘના અગ્રણી મનોજભાઈ પનારાએ જણાવ્યું હતું કે, આપણા સમાજમાં રૂ. 1000 વાળા પીઝા ખાવા વાળો વર્ગ છે અને રૂ.10ની દાબેલી ખાવા વાળો પણ વર્ગ છે. આપણે બધાને સાથે રાખીને ચાલવાનું છે. સમાજની પ્રગતિનો વિરોધી નથી. કઈ શીખો છો તેનો પણ વિરોધ નથી પણ તમે ક્યાં શીખો છો તેનું મૂલ્યાંકન સમાજ કરી રહ્યો છે. એ.કે.પટેલ, બેચરબાપા અને ત્રંબકભાઈ એ જાહેરાત કરી છે કે, છાત્રાલયથી રવિવારથી નોંધણી શરૂ થાય છે. ત્યાં જ ગરબા શીખવવામાં આવશે. સર્વ સમાજની દીકરીઓને ત્યાં ગરબા શીખવવા માટે મહેનતાણું પણ આપવામાં આવશે. આવારા તત્વો કોઈ જ્ઞાતિના હોતા નથી. કોઈ રોમિયો કે ગુંડાની જાતિ કે ધર્મ હોતો નથી. આપણા સમાજમાં પણ આવા તત્વો હોય છે. આપણો સમાજ ક્યારેય કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મનો વિરોધી નથી પણ ખોટુ કામ ક૨તા લોકોનો વિરોધી છે. આ સાથે અન્ય એક જાહેરાત એ છે કે, પાટીદાર સમાજ દ્વારા એવું સેન્ટર આવતા મહિને શરૂ ક૨વામાં આવશે, જ્યાં 6 કોમ્પ્યુટર સીસ્ટમ હશે અને તમામ સરકારી લાભો અને યોજનાના ફોર્મ ભરી આપવામાં આવશે. આપણા બિન અનામત વર્ગના સમાજને EWS મળ્યું. આયોગ અને નિગમ બન્ને પણ મળ્યા છે.
શિક્ષણ ઉપરાંત નાના મોટા કોઈ પણ ધંધા માટે 4 ટકાના વ્યાજે વાર્ષિક લોન મળે છે. સરકારે પૈસા આપ્યા પણ આ પૈસાનો ઉપયોગ આપણે કરતા નથી. દર વર્ષે રૂ.2000 કરોડ આવે છે. જેનો લાભ લેવામાં આવતો ન હોવાથી પાછા ચાલ્યા જાય છે. છાત્રાલયમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ તેમજ બ્યુટી પાર્લરના કલાસ, જીપીએસસીના કલાસ ચાલે છે. તેનો પણ લાભ લેવા અપીલ કરી છે.
મનોજ પનારાએ આ સાથે ઉમેર્યું હતું કે, આ ગરબા કલાસ નથી. ડિસ્કો દાંડિયા ક્લાસિસ છે. હ્યુમન સાયકોલોજી મુજબ વાંદરા અને માધુરી દીક્ષિતને એક રૂમમાં પૂરો એટલે માધુરીને પણ વાંદરા સાથે પ્રેમ થઈ જાય. આમા દીકરીઓનો માત્ર વાંક નથી સમય, પરિસ્થિતિ નિર્માણ થઈ એટલે આપણી દીકરીઓ રોમિયો અને આવારા તત્વોની જાળમાં ફસાઈ છે. સ્કેન્ડલ ચાલે છે પૈસા પડાવવાનું. બધા જ ક્લાસિસ વાળા ખરાબ છે એવું નથી. આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ જ શા માટે કરીએ. એક ગામ કે એક સોસાયટી બાકી નહી હોય જેમાં આપણી બહેન દીકરી શિકાર ન બની હોય.
હવે ડરવાની જરૂર નથી. બધા પક્ષના નેતાઓ અને આગેવાનો છે. સમાજને બીજી કઈ જરૂર નથી. માત્ર હિંમતની જરૂર છે. કોઈ ચમરબંધીનો દીકરો હોય તો કહી દેજોને આખી ફોજ તૈયાર છે. મોટું ખોયડુ હોય એને અવાજ ઉઠાવવાનો હોય, આપનો સમાજ મોટો છે. આપણે અવાજ ઉઠાવવો પડશે. જો કોઈ આપણી બહેન દીકરીઓ પર યુવાનો પર, વડીલો પર, મિલકત પર ખોટી નજર કરશે તો આપણે ગમે તે હદે જઈશું. હવે આપણે શેરી – ગરબાને પ્રોત્સાહન આપવું પડશે. સોસાયટીમાં અને એપાર્ટમેન્ટમાં નક્કી કરો કે એક જ દિવસ બહાર મોટી ગરબીમાં જવાની છૂટ, બાકી સોસાયટીમાં જ ગરબી કરો.
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, સમાજના આગેવાનોને લુખ્ખા કહેવાવાળાઓને મારીને આવજો. હું બેઠો છું. આ વેપારીઓનું શહેર છે. ગોળ હોય ત્યાં કીડી આવે. તેઓએ કહ્યું કે, મારે ગોળીથી મરવાનું છે. દવાથી નહી. આપણી દીકરી કે દીકરો ગ્રેજ્યુએટ હોય એટલે 10 વાગ્યા પછી ફોનના ગુલામ તેને થવા ન દયો. 10 વાગ્યા પછી ફોનના કાળા કામ માટે ઉપયોગ થાય છે. મારા નંબર 98253 96544 છે. ક્યાંય કાળા કામ ચાલતા હોય મને ફોન કરજો.
પોલીસ નહિ આવે તોય અમે આવીશું. અમે જાહેર જીવનમાં ભજન ગાવા નથી આવ્યા, લડવા આવ્યા છીએ. પ્રેમ લગ્ન થાય પછી થોડા સમય પછી ખબર પડે કે ફસાઈ ગઈ છું. પછી અમને રાવ આવે. તમામ સમાજે ચેતવાની જરૂર છે.
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, હજારો વર્ષથી નવરાત્રી ઉજવાય છે પણ કોઈને શીખવા જવું પડ્યું નથી. સિટીમાં આવી ગરબાની ટ્રેનિંગ લેવા જવુ શરમજનક કહેવાય. આજથી નક્કી કરો કે આપણા દીકરી – દીકરા ટ્રેનિંગ લેવા ન જાય. કોઈ પણ દુષણ હોય એમાં ક્યારેય પાછી પાની કરવાની ન હોય. લોકો જાતે જ નિયમ કરે કે તેઓ દાંડિયા રાસ ક્લાસમાં જાય જ નહીં અને ઘરે જ દીકરા દીકરીને શીખડાવે ગરબા શીખવે.
સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે, દાંડિયા ક્લાસિસોમાં આપણી દીકરીઓ ભોગ બને છે પણ સામે આવતું નથી. પડદા પાછળ ગેમ રમાય છે. ગયા વર્ષે પણ આ મુહિમ ઉપાડી હતી પણ લોકોની સંખ્યા ઓછી હતી પણ હવે લોકો જાગૃત થયા છે.
માતાજીના ગરબા એ આપણી સંસ્કૃતિ છે. તે મુજબ જ ધામધૂમથી પર્વ મનાવવો જોઈએ.
સમાજના વડીલોએ સમજવાની જરૂર છે. આપણી બહેન દીકરીઓને રાત્રે 11 થી 12 વાગ્યા સુધી કોઈકના ભરોશે મુકવામાં ન આવે. સ્વૈચ્છિક નિયમ લઈએ કે મારી બહેન-દીકરીને દાંડિયા ક્લાસમાં મોકલીશું નહિ.
જે શીખવાડે એ શિક્ષક હોય, પણ લાંબા વાળ અને રોમિયોગીરી કરતા હોય એ શિક્ષક નથી. તેના વિડીયો જોવો એટલે ખ્યાલ આવે કે આપણે દીકરીને ત્યાં ન મૂકાય.
સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ સુખદેવભાઈએ જણાવ્યું કે અત્યારે જે દિશામાં જઈ રહ્યા છીએ આનાથી દુઃખ જ મળવાનું છે. દાંડિયા ક્લાસિસ બંધ કરાવતા સમાજને આવડે છે. આ લોકો સીનસપાટા નાખી દીકરીઓને ભોળવવાનો પ્રયાસ કરે છે. આપણી દીકરી ભણેલી છે. સમજણ શક્તિ વધુ છે. તેને પોતાને ક્યાં જવું અને ક્યાં ન જવું તે તેની ખબર હોવી જોઈએ.
સમાજ કેટલું સારું કામ કરે છે. નાના પરિવારના લગ્ન કરાવવા હોય, તો એબીજા જ દિવસે જ કરાવી આપે છે. કરીયાવર આપે છે. આપણા સંસ્કાર અને આપણી સંસ્કૃતિ ન જાય એટલે આપણે ભેગા થયા છીએ.
આપણી દીકરીને ફસાવી દયે અને માવતરને નીચું જોવું પડે તેવું ન થવું જોઈએ. માવતરને દુઃખ પહોંચે તેવુ કામ ન કરવા માટે દીકરીને અપીલ કરું છું.
નવયુગ શૈક્ષણિક સંકુલના પી.ડી.કાંજીયાએ જણાવ્યું કે ઇતિહાસ સાક્ષી છે. જ્યારે પાટીદારોએ આંદોલન કર્યું ત્યારે ફાયદા બધાને થયા છે. અનામત તમામ સવર્ણોને મળ્યું છે. આપણે ક્યારેય કટ્ટર જ્ઞાતિવાદ થયા નથી. સર્વ સમાજને કઈકને કઈક આપવાની આપણી નીતિ છે. માત્ર દાંડિયા ક્લાસની વાત નથી. આની સાથે ઘણી વ્યથાઓ સંકળાયેલી છે એટલે આટલા લોકો ભેગા થયા છીએ. એટલે હવે આવા ક્લાસમાં જવાનું દીકરીઓ બંધ કરવુ પડશે.




