મોરબી મનપાએ સિલ કરેલા મિડવે એમ્પાયર બિલ્ડીંગને ગઈકાલે સાંજે સિલ હટાવી દેવામાં આવ્યું છે. મહાપાલિકા દ્વારા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવામાં આવી છે. તો બીજી તરફ બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીમાં શનાળા રોડ પર જીઆઇડીસી પાસે આવેલા મિડવે એમ્પાયર બિલ્ડીંગમાં અંદાજે 168 જેટલી ઓફિસો અને દુકાનો આવેલી છે. જે ગત તા.11ના રોજ મહાપાલિકા દ્વારા સિલ મારવામાં આવ્યું હતું. આ બિલ્ડીંગના સેલરમાં ભરાયેલા પાણીનો કન્યા છાત્રાલય તથા શનાળા રોડ પર નિકાલ કરવામાં આવતા સામાન્ય લોકોને હાલાકી પડી રહી હતી. જેથી અગાઉ આ બિલ્ડીંગને નોટિસો આપ્યા બાદ બિલ્ડીંગને સિલ મારવામાં આવ્યું હતું.
આ મામલે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, બિલ્ડીંગના ઓફિસ ધારકો અહીં રજુઆત કરવા આવ્યા હતા. ગઈકાલે બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ લેવામાં આવ્યો છે. અને હવે પાણી છોડશે નહિ તેવી લેખિત બાહેંધરી પણ લેવામાં આવી છે. બિલ્ડીંગના સેલરમાં હજુ પાણી ભરાયેલું છે તેનું સિલ યથાવત રાખવામાં આવ્યું છે. મોટર જપ્ત કરી લેવાઈ છે. જ્યાં સુધી યોગ્ય વ્યવસ્થા નહિ થાય ત્યાં સુધી સેલરનું સિલ ખોલાશે નહિ.




