કચ્છ–મોરબી નેશનલ હાઇવે પર દેવ સોલ્ટ મીઠાના કારખાના નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે પોતાની હવાલાવાળી ટ્રક રોડ પર કોઇપણ પ્રકારના સિગ્નલ કે ચેતવણી રાખ્યા વગર ઉભી મૂકી દીધી હતી, જેના કારણે પાછળથી આવતા એસટી બસ ટ્રક પાછળ ભટકાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બસના ડ્રાઇવર, કંડકટર અને એક મુસાફર સહિત ત્રણ વ્યકિતઓ ઇજાગ્રસ્ત થયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં રહેતા અને એસટી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા જયેશકુમાર રામજીભાઈ સીંધવએ આ અંગે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ટ્રક નં. GJ-12-BX-3843 રોડ પર ઉભી રાખવામાં આવી હતી. કોઈપણ પ્રકારનો સિગ્નલ ન રાખતા એસટી બસ નં. GJ-18-ZT-0175 ટ્રક પાછળ અથડાઈ ગઈ હતી. જેમાં તેઓ પોતે તથા કંડકટર ભગીરથસિંહ અને મુસાફર મોહબતસિંહ જાડેજા ઇજાગ્રસ્ત થયા હતા.
આ અકસ્માત અંગેની ફરિયાદના આધારે માળિયા મિયાણા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




