મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખાખરેચી ગામના ખેડૂત રમેશભાઈ દલાભાઈ કૈલાની જમીનમાં વડોદરા જતી વીજ લાઈન માટે સ્ટરલાઈન કંપની દ્વારા વીજપોલ નાખવામાં આવ્યા છે. જો કે આ કામગીરી માટે ખેડૂતને કોઈ વળતર મંજૂર કરાયું નથી.
આ અંગે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને કોંગ્રેસના નેતા મહેશ રાજકોટીયાએ આક્ષેપ કર્યો છે કે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવ્યા વગર કંપનીએ પોલ નાખી દીધા છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલું ભરાયું નથી.
મહેશ રાજકોટીયાએ જિલ્લા કલેક્ટર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના નાયબ સચિવ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તથા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો 10 દિવસમાં ખેડૂતોને વળતર ચુકવાશે નહીં, તો તેઓ આગેવાનો અને ખેડૂતો સાથે મળીને વીજપોલ ઉખાડી ફેંકશે તથા કચેરીએ હલ્લાબોલ કરશે.
રાજકોટીયાએ જણાવ્યું કે, પીએમઓ, મુખ્યમંત્રી અને ઉર્જા વિભાગે પણ વારંવાર વળતર ચૂકવવા સૂચના આપી છે છતાં કંપનીએ હજુ સુધી ખેડૂતોને કોઈ ચુકવણી કરી નથી જે અયોગ્ય છે.




