HomeGujaratવેજલપરમાં તસ્કરોનો આતંક, ત્રણ મકાન સહિત બે મંદિર અને બાઈકની ચોરી

વેજલપરમાં તસ્કરોનો આતંક, ત્રણ મકાન સહિત બે મંદિર અને બાઈકની ચોરી

માળિયા તાલુકાના વેજલપર ગામે તસ્કરો ત્રાટકતા એક રાતમાં ત્રણ બંધ મકાન, બે મંદિરમાં ચોરી અને એક બાઈકની ચોરી કરી ફરાર થયા હતા. બનાવને પગલે ગામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તસ્કરોએ ધર્મેશ ચંદુલાલ કૈલા, કિશોર અંબારામ ભોરણીયા અને વિનુભાઈ વિડજાના બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. ધર્મેશભાઈના મકાનમાંથી આશરે રૂ. 45,000 રોકડ અને કિશોરભાઈના મકાનમાંથી રૂ. 38,000 રોકડ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. વિનુભાઈના મકાનમાંથી કોઈ મોટો મુદામાલ હાથ લાગ્યો ન હતો.

આ ઉપરાંત તસ્કરોએ ગામના હનુમાન મંદિર અને રામદેવપીર મંદિરમાં પણ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દાનની રકમ અગાઉ જ ઉપાડી લેવાઈ હોવાથી તેમને ખાસ કંઈ હાથ લાગ્યું ન હતું.

તસ્કરોએ ગામના દેવજીભાઈ ગોલતરની મોટરસાયકલ પણ ચોરી કરી ફરાર થયા હતા. બનાવની જાણ થતા મકાનમાલિકોએ માળિયા મિયાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસએ ગુન્હો નોંધીને તપાસ શરૂ કરી છે.

ગામના સરપંચ હરેશભાઈના જણાવ્યા મુજબ, તસ્કરોએ ગામની પ્રાથમિક શાળામાં પણ પ્રવેશ કર્યો હતો અને રાત્રીના અંધકારનો લાભ લઈને ત્યાં ચા-નાસ્તો કર્યો હતો. હોટેલ માલિકે ચોરાયેલ બાઈક સાથે ત્રણ શખ્સોને જોયા હોવાનો દાવો કર્યો છે.

ગામમાં આ પહેલા પણ એક મહિના પૂર્વે ચોરીનો પ્રયાસ થયો હતો, પરંતુ ફરિયાદ ન થતાં તસ્કરો હિંમતદાર બની ફરી ત્રાટક્યા હોવાનું મનાય છે.

RELATED ARTICLES

Most Popular