HomeGujaratમોરબીમાં જનઆંદોલનો શરૂ થતા તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાવી 

મોરબીમાં જનઆંદોલનો શરૂ થતા તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાવી 

મોરબીમાં જનઆંદોલનો શરૂ થતાં તંત્ર દ્વારા રોડ, ગટર અને લાઈટોનું યુદ્ધના ધોરણે કામ શરૂ કર્યું હતું. હાલ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તેવામાં આજે જિલ્લા કલેકટર, ધારાસભ્ય અને મહાપાલિકાના અધિકારીઓએ મોડી રાત્રે વિવિધ સ્થળોએ ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથોસાથ આગામી દિવસોમાં શરૂ થનાર કામ અંગે ચર્ચા પણ કરી હતી.

આ મામલે જિલ્લા કલેકટર અને મહાપાલિકાના વહીવટદાર કે.બી.ઝવેરીએ જણાવ્યું હતું કે, અંદાજે દસેક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં મે મોરબીના લોકોને હૈયાધારણા આપી હતી કે કામો શરૂ થશે. તે મુજબ કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. અમે તેના નિરીક્ષણ માટે નીકળ્યા છીએ. અમારી સાથે મહાપાલિકાના અધિકારીઓ પણ છે. અમે ખાડા બુરવાના કામ પહેલા પૂર્ણ કરાવીશું. હાલ આપણી પાસે 5 જેટિંગ મશીન અને અન્ય એક મશીન છે. ગટર ઉભરાઈ છે તે સમસ્યાઓનો પણ નિકાલ આવશે. લાઈટનું કામ પણ પુરજોશમાં ચાલુ છે. બે દિવસમાં તમામ જગ્યાએ લાઈટો લાગી જશે. હું અને મ્યુનિસિપલ કમિશનર સતત કામગીરી પર સુપરવિઝન રાખી રહ્યા છીએ. લોકોને કઈ પણ પ્રશ્ન હોય તો મને અથવા મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરે, આંદોલનનો માર્ગ ન અપનાવે તેવી અપીલ કરી હતી.

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી તા.2 સુધીમાં લગભગ કામ પૂર્ણ થઈ જશે. આગામી તા.5થી દર 15 દિવસે પાંચ-પાંચ કામ શરૂ કરવામાં આવશે. જે ગામો મહાપાલિકામાં સમાવાયા છે ત્યાં પણ રજૂઆતોને ધ્યાને લઈ કામ કરાશે.

અત્યારે ખાડા, ગટર, લાઈટના પ્રશ્ન દૂર કરવા પુરજોશમાં કામગીરી ચાલુ છે. આંદોલન વાળા આંદોલન ક૨શે, અમે કામ કરીશું. ડિસેમ્બરમાં ચૂંટણી આવે છે તો વિરોધ પક્ષ એનું કામ કરે. અમે અમારુ કામ કરીએ છીએ. જો ચક્કાજામ કરવાને બદલે અમારા નબળા કામ ગોતે તો મજા આવે.

RELATED ARTICLES

Most Popular