મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા જણાવે છે કે, મોરબી શહેરના મધ્યમાંથી મચ્છુ નદી પસાર થાય છે જેમાં હાલ એક બ્રીજ આવન અને એક બ્રીજ જાવન માટે આવેલ છે જેથી સંપૂર્ણ મોરબીનો ટ્રાફીક આ બ્રીજ પરથી જ પસાર થાય છે જેના કારણે ટ્રાફિકની ખુબ જ સમસ્યા સર્જાય છે.
મોરબીની ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે મચ્છુ નદી પર પાડાપુલની ડાઉનસ્ટ્રીમમાં બ્રીજ બનાવવા માટે DPR બનાવી સરકારમાં સાદર કરવામાં આવેલ જેના અનુસંધાને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂ.39.38 કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળી છે, સદર બ્રીજમાં અંદાજીત 16 ગાળા અને 10.50 મીટરનો કેરેઝ-વે અને બન્ને બાજુ 1.50 મીટરની ફુટપાથનો સમાવેશ થયેલ છે.
ઉપરોક્ત બ્રીજ શાંતિવન આશ્રમથી શરૂ થઇ મોરબી-2 વિસ્તારમાં વેજીટેબલ રોડ પર પૂર્ણ થશે આ યોજના પૂર્ણ થતા વી.સી.પરા, લાયન્સનગર, રણછોડનગર, અમરેલીના વિસ્તારના રહીશો એવી જ રીતે મોરબી-2 થી વિશીપરામાં આવા-જવાનો ઉપયોગ થતા ટ્રાફીક સમસ્યા નિવારી શકાશે આમ આ યોજના થી શહેરી જનોને નવીન સુવિધા મળશે તેવી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




