મોરબી તાલુકામાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવ સામે આવ્યા છે, જેમાં રફાળેશ્વરમાં માસૂમ બાળકીનું પાણી ભરેલી ડોલમાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે જેતપ૨માં પાંચ મહિના પૂર્વે જ લગ્નગ્રંથીએ જોડાયેલી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો તો ત્રીજા બનાવમાં નવાગામમાં પાંચ વર્ષ પૂર્વે લગ્ન કરનાર પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
આ ત્રણેય બનાવની વિગત જોઈએ તો, પ્રથમ બનાવમાં મોરબી તાલુકા રફાળેશ્વર પાનેલી રોડ પર સિમોરા કારખાના સામે ધરતી પ્લાસ્ટ કારખાનાના લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની અરવિંદભાઈ દલુભાઈ મંડલોઈની એક વર્ષની માસૂમ પુત્રી આરાધ્યા પાણીની ભરેલી ડોલમાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું.
બીજા બનાવમાં મોરબી તાલુકાના જેતપર ગામે રોહિતભાઈની વાડીએ રહી ખેતમજૂરી કરતા મુશ્કાનબેન ગોકુલભાઈ ભાભર (ઉ.વ.28) નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નીપજ્યું હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મુસ્કાનબેનના પાંચ મહિના પહેલાં જ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે.
જ્યારે ત્રીજા બનાવમાં લીલાપર ચોકડીથી નવાગામ તરફ જતા માર્ગ પર આવેલ સ્પેનિયા સિરામિકની ઓરડીમાં રહેતા રાધારાની હેમરન (ઉ.વ.21) નામની પરિણીતાએ ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઉલ્લેખનિય છે કે, મૃતકના લગ્ન પાંચ વર્ષ પૂર્વે થયા હોવાનું અને સંતાન નહિ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.




