મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં રખડતા શ્વાનની વસ્તી અંકુશ લાવવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે, તેના ભાગરૂપે અગાઉ રખડતા શ્વાનના ખસીકરણ માટે ઓન લાઇન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી.
હવે આ દિશામાં મનપા વધુ એક પગલું ભરવા જઈ રહ્યું છે. મહાનગર પાલિકા દ્વારા રખડતા શ્વાન અને પાલતુ શ્વાન વચ્ચે ઓળખ થઈ શકે અને ભવિષ્યમાં રખડતા શ્વાન પર એકશન લેવામાં આવે ત્યારે માલિકીના શ્વાનની ઓળખ થાય તેમજ જે માલિકો પાલતુ શ્વાન રાખે છે તેઓ નિયમનું પાલન કરે જેથી સામાન્ય લોકોને હેરાનગતિ કે નુકસાન ન થાય તેવા ઉદ્દેશથી મહાનગરપાલિકા દ્વારા જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે, જે મુજબ સુપ્રીમ કોર્ટના નિર્દેશન અને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન મુજબ ધી કૃઅલ્ટી ટુ એનિમલ એક્ટ 1990 ભારત સરકારના મિનિસ્ટ્રી હસબન્ડરી એન્ડ ડેરી દ્વારા પ્રસિદ્ધ કરેલ એનિમલ બર્થ કન્ટ્રોલ 2023, (NAPRE-2023) ના ગાઇડ લાઇન મુજબ શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરવું પડે છે અને તેની નોંધણી રૂ.200 ચુકવી નોંધણી ભરી નોંધણીને લગતા જરૂરી કાગળ મોરબી મનપા કચેરીના પ્રાણી રજાંડ અંકુશ શાખામાં જરૂરી વિગત ભરી પુરાવા સબમિટ કરી પ્રતિ પાલતુ શ્વાનની ભરી રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
મોરબી મનપા કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા પણ તેમના પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને જે પણ પાલતુ શ્વાન રાખી રહ્યા છે તે માલિકોને પણ મનપા કચેરીમાં જરૂરી આધાર પુરાવા જેવા કે, અરજદારનું આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ, અરજદારનું ટેક્સ બિલ, લાઇટ બિલ અરજદાર અને શ્વાનનો ફોટો તેમજ શ્વાનના રહેવા માટે જે સ્થળ બનાવ્યું છે તેનો ફોટો રજૂ કરી રજિસ્ટ્રેશન કરાવી શકશે તેમ મોરબી મનપાના ડે કમિશ્નરે જણાવ્યું છે.




