મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા જાહેર જનતાને આધુનિક અને સરળ અવરજવર સુવિધા મળી રહે તે હેતુથી વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી રહી છે.
જે અંતર્ગત મોરબી શહેરના મુખ્ય સર્કલોના સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
હાલમાં આ તમામ સર્કલોના સુચારું આયોજન અને સુનિયોજિત વિકાસ માટે ડ્રોન સર્વે કાર્ય સફળતાપૂર્વક સંપન્ન ક૨વામાં આવ્યું છે.
આ ડ્રોન સર્વેના આધારે મુખ્ય સર્કલોના વિકાસ માટે પગલાં લેવામાં આવશે. જેમાં લીલાપર ચોકડી, ઉમિયા સર્કલ, પંચાસર ચોકડી સર્કલ, શકત શનાળા સર્કલ, રવાપર ચોકડી સર્કલ, વાવડી ચોકડી સર્કલ, સરદાર પટેલ સર્કલ, છત્રપતિ શિવાજી મહારાજ સર્કલ, ત્રિકોણબાગ સર્કલના વિકાસથી મોરબી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે તથા લોકોના આવન-જાવન માટે વધુ સુવિધા ઉપલબ્ધ થશે અને મોરબી મહાનગરપાલિકા આગામી સમયમાં પણ શહેરના વાહનવ્યવહાર અને યાતાયાત વ્યવસ્થામાં વધુ સુધારાઓ માટે સતત પ્રયત્નશીલ રહેશે. આગામી સમયમાં મોરબીની જાહેર જનતા માટે આવન જાવનની સુવિધા જરૂરિયાત મુજબ મળી રહે તે બાબતના તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું છે.




