કહેવાય છે કે વ્યાજખોરોની ભૂખ ક્યારેય સંતોષાતી નથી, એવું જ કંઈક બન્યું છે મોરબીમાં રીક્ષા ચલાવતા યુવાન સાથે. તેણે ભાગીદારીમાં ભંગારનો ધંધો કરવા દૈનિક 3 ટકા જેટલા ઉંચા વ્યાજે નાણાં મેળવ્યા બાદ વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયો હતો અને ધીમે ધીમે 35.50 લાખ રૂપિયાનું દરરોજ 82 હજાર વ્યાજ ચૂકવવા છતાં વ્યાજખોરે ખેતીની જમીનનો દસ્તાવેજ કરાવી કોરા ચેક પડાવી લીધા હતા.
આ અંગે પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, મોરબીના ન્યુ ચંદ્રેશનગરમાં ગરબી ચોકમાં રહેતા અને રીક્ષા ચલાવતા શૈલેષભાઈ ભીખાભાઇ જીવાણીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વ્યાજખોર વિપુલ અવાડિયા રહે.કુબેરનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2024 ડિસેમ્બરમાં તેના મિત્ર સાથે ભાગીદારીમાં ભંગારનો ધંધો કરવો હોય આરોપી પાસેથી રૂ.6 લાખ દૈનિક 18 હજાર લેખે વ્યાજે લીધા હતા.
બાદમાં ધીમે ધીમે વ્યાજના ચક્કરમાં ફસાયેલા શૈલેષભાઈ વ્યાજમાં પહોંચી ન વળતા વખતો વખત જરૂરત મુજબ ઉંચા વ્યાજે કુલ રૂ.35.50 લાખ જેટલી અધધ રકમ લઈ લીધી હતી. જેથી આરોપી વિપુલ અવડીયાએ શૈલેશભાઈની ખેતીની જમીનનો બળજબરીથી દસ્તાવેજ કરાવી લઈ પડાવી લીધેલા કોરા ચેક રિટર્ન કરાવવા પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી વ્યાજખોરી મામલે સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




