સબ હેડિંગ – માતાઓનું વિશેષ સન્માન, એ-વન સ્પોર્ટ્સ એકેડમીની દીકરીઓએ કરાટે દાવોથી મંત્રમુગ્ધ કર્યા
તહેવારોની અનોખી ઉજવણીના ભાગરૂપે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે આયોજીત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ચોથા નોરતે મનોદિવ્યાંગ બાળકોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ બાળકોએ પોતાના વાલીઓ સાથે પધારી માતાજીની આરાધના સાથે મહોત્સવનો હર્ષોલ્લાસથી આનંદ માણ્યો હતો.
મોરબીના રવાપર-ઘુનડા રોડ પર સ્થિત પ્લેટિનિયમ પાર્ટી પ્લોટ ખાતે ચાલી રહેલા સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં બહેનો માટે નિઃશુલ્ક પ્રવેશની સુવિધા આપવામાં આવી છે. ગઈકાલે શ્રી મા મંગલમૂર્તિ દિવ્યાંગ શાળાના 29 મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમની દેખભાળ કરતી માતાઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની સફળતા માટે કૈલા દુર્ગાબેન નરેન્દ્રભાઈ, દેવ્યાનીબેન (દિપાબેન) ચેતનભાઈ, હર્ષિદાબેન સતીષભાઈ, અંજનાબેન મુકેશભાઈ, મયુરીબેન શામજીભાઈ તથા શિલ્પાબેન ભટાસણાનો વિશેષ સહયોગ મળ્યો હતો.
આ ઉપરાંત એ-વન સ્પોર્ટ્સ એકેડમીની 10 દીકરીઓએ કરાટેના અદ્ભુત દાવ પ્રદર્શન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ દીકરીઓના આત્મવિશ્વાસ અને કળાને ભરપૂર વખાણી હતી.
ઉલ્લેખનીય છે કે, યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ સંકલ્પ નવરાત્રી મહોત્સવ મોરબીમાં સમાજની સમરસતા અને એકતાનું પ્રતીક બની રહ્યો છે. ખાસ કરીને જે લોકો નવરાત્રી માણી શકતા નથી તેમને આમંત્રિત કરી આ પાવન પર્વમાં સહભાગી બનાવવાનું ગ્રુપનું પ્રયત્ન પ્રશંસનીય છે.




