સિરામિક ઉદ્યોગ નગરી તરીકે પ્રખ્યાત મોરબીના સિરામિક ઉદ્યોગના કેટલાક પ્રશ્નોને લઈને મોરબી શહેરના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, સેનેટરીવેર ડિવિઝન પ્રમુખ અજયભાઈ મારવાણીયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, નીલેશભાઈ જેતપરીયા અને વિજયભાઈ સાથે લીગલ કન્સલ્ટન્ટ પંકજભાઈ રાચ્છ એ દિલ્હી ખાતે કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયાની રૂબરૂ મુલાકાત કરી હતી.
પ્રતિનિધિમંડળે નવા લેબર રિફોર્મ્સ મુદ્દે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, આવતા સુધારાઓમાં બિનજરૂરી કાનૂની ગૂંચવણો, અમલદારશાહી તથા લાઇસન્સિંગ રાજમાંથી ઉદ્યોગોને મુક્તિ અપાઈ, જેથી ઉદ્યોગોને વધુ સુગમતા મળી શકે.
તેમજ લાંબા સમયથી બાકી રહેલા એક્સાઈઝ સંબંધિત કેસ અંગે પણ વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે મંત્રીએ ખાસ રસ દાખવતા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ત્વરિત સંપર્ક કરી પોઝિટિવ સોલ્યુશન લાવવાની સૂચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે, શ્રમ મંત્રીએ સમગ્ર રજૂઆતને લઈને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો, જેના પરિણામે મોરબીના સિરામિક ઉદ્યોગમાં નવી આશાનો સંચાર થયો છે.




