રાજ્ય સરકારે નવસર્જિત વાવ-થરાદ જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) તરીકે બે અધિકારીઓની નિમણુંક કરી છે. જેમાં મોરબી જિલ્લાના લોકપ્રિય ડીડીઓ જે.એસ. પ્રજાપતિને વાવ-થરાદ જિલ્લાના પ્રથમ જિલ્લા કલેક્ટર તરીકે બદલી આપવામાં આવી છે, જ્યારે વલસાડના પ્રોજેક્ટ ડાયરેક્ટર કાર્તિક જીવાણીને વાવ-થરાદના ડીડીઓ તરીકે નિમણુંક આપવામાં આવી છે.
૧ જાન્યુઆરી ૨૦૨૫થી બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વાવ-થરાદ જિલ્લાની રચના કરવામાં આવી છે. નવા જિલ્લામાં કુલ ૮ તાલુકાઓનો સમાવેશ થાય છે. જેમાં વાવ, થરાદ, સુઈગામ, દિયોદર, લાખાણી, ભાભર, રાહ, ધરણીધર જિલ્લાનું વહીવટી મથક થરાદ ખાતે રાખવામાં આવ્યું છે.
જે.એસ. પ્રજાપતિ લોકપ્રિય અધિકારી છે જેમણે મોરબી જિલ્લાના ડીડીઓ તરીકે સેવા આપતા દરમિયાન પ્રજાપતિએ અનેક લોકાભિમુખ કામગીરી કરી હતી. યુવાઓને સરકારી નોકરી મળે તે માટે મોક ટેસ્ટ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આયોજન કર્યું હતું. રેલવે ભરતીમાં ફોર્મ ભરવા માટે હેલ્પડેસ્ક શરૂ કરાવ્યા હતા. ગામડે-ગામડે ઉચ્ચ અધિકારીઓને મોકલીને સેવાઓની ચકાસણી કરાવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અટકાવવા મહત્વનો પરિપત્ર જારી કર્યો હતો. કડક અને લોકહિતના નિર્ણયો લઈ મોરબીમાં સારી છાપ પાડી હતી.
આ નિમણુંક સાથે હવે વાવ-થરાદ જિલ્લાને તેનો પ્રથમ કલેક્ટર અને ડીડીઓ મળી ગયા છે, જેના કારણે જિલ્લાના વહીવટી માળખાને ગતિ મળશે.




