મોરબીના વિસીપરા વિસ્તારમાં રોહીદાસપરા આંબેડકર ચોક નજીક ૩૦૦ રૂપિયાની રકમ પરત આપવાની બાબતે થયેલા વિવાદ બાદ સાત શખ્સોએ આધેડના દીકરાને પાઈપ અને ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ, વિસીપરા રોહીદાસપરા આંબેડકર ચોક નજીક રહેતા શીવાભાઈ કેશુભાઈ સારેસા (ઉ.૫૪) એ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, તેમના દિકરા અજયભાઈએ આરોપી જયસુખભાઈ સાવરીયા પાસે ત્રણસો રૂપિયા માંગ્યા હતા. જયસુખભાઈને રકમ પરત આપવાની વાત કહી ત્યારે તેને ખાર લાગતા વિવાદ સર્જાયો હતો.
ત્યારબાદ આરોપી જયસુખભાઈ, તેની પત્ની ગુડીબેન, સાળા અરૂણભાઈ, તેની પત્ની, સાસુ તેમજ પાડોશમાં રહેતા બહેન અને ભાઈ એમ કુલ સાત શખ્સોએ મળી ફરીયાદી અને તેના પરિવારજનો પર હુમલો કર્યો હતો.
આરોપીઓએ પાઈપ અને લાકડી વડે મારમારી, ગાળો આપી અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવી સાથે જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો વાપર્યા હોવાનો આક્ષેપ ફરીયાદમાં કરવામાં આવ્યો છે. પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




