ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલા ખોડીયાર આશ્રમમાં તા. 30 જુલાઈ 2025ની મધરાતે બનેલા લૂંટના ગંભીર ગુન્હામાં, આશ્રમના તાડા તોડી અંદર પ્રવેશી અજાણ્યા ચાર લૂંટારૂઓએ મહંત રામચરણદાસજીને છરીના ધાકથી ડરાવી સોના–ચાંદીનો મુદામાલ, હાથનું ચાંદીનું ગેડાનું કડુ અને રોકડ મળી કુલ રૂ. 87,000નો માલ ઉપાડી લઈ નાસી ગયા હતા. આ સંબંધે ફરીયાદ તા. 13 ઓગષ્ટ 2025ના રોજ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા વાંકાનેર ડિવિઝનના ડી.વાય.એસ.પી. એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ, ટંકારા પોલીસ ટીમે આ ગુન્હાને ગંભીરતાથી લઈ ઝડપી તપાસ હાથ ધરી હતી.
ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. છાસીયાના સુપરવિઝન હેઠળ તપાસ ટીમે ખંતપૂર્વક ચક્રો ગતિમાન કર્યા, ટેકનિકલ સર્વેલન્સ, ગોપનીય માહિતી અને સતત મેદાની દોડધામ દ્વારા આરોપીઓની ઓળખ કરી અને તેમને કાયદાની ઝપટમાં લીધા હતા.
પીઆઇ કે.એમ. છાસીયાની આગેવાની હેઠળની ટંકારા પોલીસની પદ્ધતિબદ્ધ કામગીરીએ માત્ર આરોપીઓને જ પકડ્યા નહિ, પરંતુ ગુન્હામાંથી મેળવાયેલ મુદામાલ પણ ઝડપી કબજે કરવામાં સફળતા મેળવી. તેમની કામગીરીની વિશેષતા એ રહી કે તેમણે ફરીયાદીનો વિશ્વાસ પુનઃ સ્થાપિત થાય એ રીતે સંપૂર્ણ ઈમાનદારી અને જવાબદારીથી તપાસ પૂર્ણ કરી હતી.




