મોરબીમાં હળવદ તાલુકાના શ્રી જુના દેવળિયા ઉમા પરિવારનો ચતુર્થ સ્નેહમિલન સમારોહ સાંસ્કૃતિક કાર્યકમ, રમત ગમત અને બ્લડ ડોનેશન કેમ્પ કરીને અનોખી રીતે ઉજવાયો .
મોરબી : મોરબીમાં રાધે પાર્ટી પ્લોટ મુકામે શ્રી જુના દેવળીયા ઉમા પરિવારના ચતુર્થ સ્નેહમિલન સમારોહનું તા.29/12/2024, રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે સ્ટેજ પર માત્ર ઉમિયા માતાજી,ભારત માતા, કેશ્વેશ્વર મહાદેવ તેમજ સરદાર પટેલ સાહેબની છબીને જ સ્થાન આપવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના 385 જેટલાં પટેલ પરિવાર મોરબીમાં વસે છે.તેમના માટેના ચતુર્થ સ્નેહમિલન સમારોહનું માર્ચ- 2024 ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ટકાવારી મેળવનાર દીકરીઓના હસ્તે દીપ પ્રાગટ્ય અને માર્ચ 2024 માં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામા ઉચ્ચ ટકાવારી મેળવનાર દીકરીઓ એ ઉમિયા માતાજીની આરતી કરી હતી. અને રાષ્ટ્રીય ગાન ગાયીને દેશભક્તિ નારા સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી..
આ કાર્યક્રમના પહેલા ભાગમાં ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીઓએ ગણપતિ સ્તુતિ અભિનય સાથે , દેશભક્તિ ગીતો પર નૃત્ય, તલવાર અભિનય તેમજ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ ગામડાની ઘટતી જતી વસ્તી, નારી સશક્તિકરણ અને જીવનમાં પિતાનું મહત્વ જેવા વિષયો પર દીકરીઓએ સ્પીચ આપીને સૌને ખુશ કરી દીધા..
આ કાર્યક્રમના બીજા ભાગમાં કે.જી. થી ધોરણ 5 સુધીના તમામ બાળકો માટે રમત ગમતમાં બોય્સ અને ગર્લ્સને અલગ અલગ રીતે અંદર બહાર,કેટલા રે કેટલા,સંગીત ખુરશી અને લાકડી પકડ જેવી રમત રમાડીને ખૂબ આનંદ કરાવ્યો હતો. રમત ગમતમાં ભાગ લીધેલ આશરે 200 જેટલાં તમામ વિદ્યાર્થીઓને ઇનામમાં મગની ભેટ આપીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું . સાથે સાથે રમત ગમતમાં પ્રથમ ત્રણ નંબર અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલ દરેક વિદ્યાર્થીને શિલ્ડ દ્વારા પ્રોત્સાહન આપીને શુભકામનાઓ પાઠવી હતી.
આ સ્નેહમિલન કાર્યક્રમમાં *રક્તદાન એ જ મહાદાન* અને *જન સેવા એ જ પ્રભુ સેવા* જેવી પંક્તિને સાકાર કરી બ્લડ ડોનેશન કેમ્પના આયોજન દ્વારા સંસ્કાર બ્લડ બેન્કને બ્લડની 68 જેટલી બોટલ એકત્ર કરી સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આયોજક સમિતિ દ્વારા તમામ રક્તદાતાઓને પ્રોત્સાહક ભેટરૂપે ઇનામ આપીને બિરદાવામાં આવ્યા હતા.
આ સ્નેહમિલન કાર્યક્રમના સમગ્ર આયોજન ખર્ચમાં આર્થિક સહયોગ આપનાર સ્વૈચ્છિક રીતે 175 જેટલાં સહભાગી દાતાઓનું પણ આયોજક સમિતિ દ્વારા પ્રોત્સાહક ભેટ આપી બિરદાવ્યા હતા.
આ તકે ગામ પરિવારના જ પ્રાથમિક શિક્ષિકા એ ગામડાની સ્થિતિ અને ગામડાની પરંપરાની વાત કરી, વાર તહેવારે પોતાના માદરે વતનના ગામડામાં જવાની વાત કરી હતી. બાળકોને અભ્યાસમાં મહેનત કરી આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અને બાળકોની રમત ગમતના ઉત્સાહને અને સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીની પણ પ્રસંશા કરી હતી..
અંતે સૌ પરિવારજનોએ સામુહિક ભોજન લીધું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોએ એકબીજા સાથે ખૂબ ધીંગા મસ્તી કરીને પોતાના બાળપણને ઉજાગર કર્યુ હતું.
આમ,માં ઉમિયાજીની કૃપાથી અને દેવળીયાના તમામ પરિવારના તન, મન અને ધનના સાથ સહકારથી આ કાર્યક્રમ ખુબ સારી રીતે દીપી ઉઠ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા જેમણે પણ તન, મન અને ધનથી જે કઈ સહયોગ આપ્યો છે એ બદલ શ્રી જુના દેવળીયા ઉમા પરિવાર આયોજક સમિતિ તેમનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા . શ્રી જુના દેવળીયા ઉમા પરિવાર આયોજક સમિતિની મહેનતને પણ તમામ ગામ લોકોએ બિરદાવી હતી અને ખૂબ અભિનંદન પાઠ હતા.

