સરકારના માહિતી અને પ્રસારણ વિભાગમાં 34 વર્ષ અને છેલ્લા 11 વર્ષથી મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે વર્ષોથી ઓપરેટર તરીકે કાર્યરત ભરતભાઈ ફુલતરીયા વય નિવૃત્ત થતા સંયુક્ત માહિતી નિયામક મિતેષકુમાર મોડાસીયા, સહાયક માહિતી નિયામક સોનલબેન જોષીપુરા અને પારુલબેન આડેસરા તથા સૌરાષ્ટ્ર ઝોનના માહિતી વિભાગના તમામ કર્મયોગીએ તેમને ભાવભીની વિદાય આપી નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
34 વર્ષથી પણ વધુનો સમય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગને સમર્પિત કરી વય નિવૃત્ત થઈ રહેલા ભરતભાઈને તેમનું નિવૃત્તિ જીવન શુભ કાર્યમાં પ્રવૃત્તિ રહે તેમજ આગળનું જીવન તેઓ તંદુરસ્ત રીતે પસાર કરે તે માટે મોરબી સહાયક માહિતી નિયામક પારુલબેન આડેસરાએ શુભકામનાઓ પાઠવી હતી. ઉપરાંત, તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી તેમની સિદ્ધિઓ સંબંધો કોને તેમજ દેરગંભીર અને સાલસ સ્વભાવ માટે તેમની સરાહના કરી હતી.
ભરતભાઈ ફુલતરીયાએ 24 વર્ષની વયે બનાસકાંઠા જિલ્લાના રાધનપુર ખાતે 27 માર્ચ, 1991 માં પ્રચાર કેન્દ્રમાં ફિલ્મ ઓપરેટર તરીકે તેમની નોકરીની શરૂઆત કરી હતી. 1 થી 9 ધોરણ સરકારી શાળા અને ત્યારબાદ બીએસસી મેથેમેટિક્સ કરી રાજકોટની AVPT કોલેજ ખાતે ચાલતા સિને પ્રોજેક્શન કોર્સનો કોર્સ કર્યો હતો. એ કોર્સના માધ્યમથી જ તેમણે ફિલ્મ ઓપરેટરની એક મહત્વની ભૂમિકા સાથે નોકરીની શરૂઆત કરી હતી. વર્ષ 1998 માં સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી થઈ અને ત્યાં વર્ષ 2001 થી નવી સદીમાં સાંપ્રત સમયની જરૂરિયાત અનુસાર તેમને વિડીયોગ્રાફર તરીકેની એક નવા કાર્ય સાથે નવીન ભૂમિકા ભજવવાની આવી જેમાં પણ તેમણે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી. વર્ષ 2006 માં ગાંધીનગર અને વર્ષ 2012 માં જુનાગઢ બદલી થઈ ત્યાં પણ તેમણે વિડીયોગ્રાફર તરીકે નોકરી કરી.
વર્ષ 2014 માં મોરબી એક નવા જિલ્લા તરીકે પ્રસ્થાપિત થતા નવી પ્રસ્થાપિત થતી જિલ્લા માહિતી કચેરી સાથે જ તેમની જૂનાગઢથી મોરબીમાં 1 માર્ચ, 2014 માં બદલી કરવામાં આવી હતી. ત્યારથી લઇ આજ દિન સુધી તેમણે અહીં ખૂબ જ ખંત અને લગનથી તેમની કામગીરી પૂર્ણ કરી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, મંત્રીઓના મહત્વના કવરેજ તેમજ કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ વખતે પણ ખૂબ અહેમ ભૂમિકા ભજવી છે.
ભરતભાઈએ તેમના આ 34 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમને સહયોગી બનેલા તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમની કાર્યદક્ષતાની નોંધ લેતા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ શુભેચ્છા સંદેશ થકી તેમને નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ તેમને રૂબરૂ શાલ ઓઢાડી સન્માનિત કરી શુભેચ્છાઓ અર્પણ કરી હતી. તેમજ તેમના વિદાય સમારંભ વખતે મોરબી જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા, ક્લાર્ક એ.પી. ગઢવી અને જયભાઈ રાજપરા, ફોટોગ્રાફર પ્રવીણભાઈ સનાળીયા, અન્ય સ્ટાફમાં જયેશભાઈ વ્યાસ અને અજયભાઈ મુછડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




