હાલની કાળઝાળ ગરમીમાં જનજીવન આકુળ વ્યાકુળ થઈ ગયું છે અને અંગ દઝાડતી ગરમીને લીધે લોકો રીતસર શેકાય રહ્યા છે ત્યારે મોરબીમાં તમામ જન સમુદાયના હિતમાં કાર્ય કરતા યંગ ઇન્ડિયા ગ્રુપે આવી કાળઝાળ ગરમીમાં લોકોની વ્હારે આવી વિવિધ સ્થળે હેલ્ધી અને ઉનાળાની ગરમીમાં લોકોનો સહારો એવું લીંબુ શરબત અને વરિયાળી શરબત વિતરણ કરવામાં આવ્યું હતું.
મોરબીમાં અનેક સેવાકીય, સામાજિક, શૈક્ષણિક સહિત તમામ ક્ષેત્રે લોકોને ઉપયોગી પ્રવૃત્તિઓ કરીને દેશ અને સમાજમાં ક્રાંતિકારી પ્રયાસો કરનાર યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા હાલના ઉનાળાના બળબળતા તાપ સામે લોકોના આરોગ્યના હિત માટે ઠંડા લીંબુ શરબત અને વરિયાળી શરબતનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સભ્યોએ ઉમિયા સર્કલ, રવાપર ચોકડી, ગાંધીચોક, જુના અને નવા બસ સ્ટેન્ડે, દલવાડી સર્કલ, સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલ, ત્રાજપર ચોકડીએ પસાર થતા અસંખ્ય લોકોને ઠંડા લીંબુ શરબત અને વરિયાળી શરબત પીવડાવી આગઝરતી ગરમીમાં રાહત આપી હતી તેમજ શ્રમજીવીઓ જ્યાં જ્યાં કામ કરતા હોય તે સ્થળે જઈને પણ શ્રમિકોને ઠંડા લીંબુ શરબત અને વરિયાળીનું શરબત પીવડાવ્યું હતું. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, હાલની ગરમીએ લોકો તોબા પોકારી રહ્યા છે. બપોરે તો બહાર નીકળી પણ ન શકાય તેવી ગરમી પડે છે. ત્યારે કામ અર્થે નીકળતા અને ખુલ્લામાં મજૂરી કામ કરતા શ્રમિકોના આરોગ્ય માટે ઠંડા લીંબુ શરબત અને વરિયાળી શરબત રાહતરૂપ છે. જેથી જ્યાં સુધી સખત ગરમી પડે છે ત્યાં સુધી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ઠંડા લીંબુ શરબત અને વરિયાળી શરબતનું વિતરણ કરવામાં આવશે. સાથેસાથે લોકોને કામ સિવાય બપોરે ઘરની બહાર ન નીકળવા અને ધમધોકાર તાપમાં લોકોને માથે ટોપી અને શરીરના તમામ અંગ ઢાંકીને નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.




