મોરબીના ખાખરાળા ગામે રબારી સમાજના યુવાનની હત્યાના પ્રકરણમાં આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા કાલે સોમવારે મૌન રેલી યોજી એસપીને આવેદન પાઠવવામાં આવશે.
આ મામલે શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા જણાવ્યું હતું કે, ખાખરાળા ગામે સ્વ.કિશન જગદીશભાઈ કરોતરાની નિર્મમ હત્યામાં આરોપીની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી અને હત્યારો છડે ચોકે રખડી રહ્યો છે, જે બાબતે રબારી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે મૃતકના માતા પિતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હત્યારો હજુ રખડી રહ્યો છે પરંતુ પોલીસ હત્યારાને પકડવા સદંતર નિષ્ફળ રહી છે, જેને લઈને શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આવતીકાલે તા. 5ના રોજ સવારે 10 કલાકે મોરબીમાં કેસરબાગ નટરાજ ફાટક સામાંકાઠેથી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રબારી સમાજ દ્વારા નિર્દોષ યુવાનની હત્યાનાં આરોપીને કડક સજા થાય અને વહેલી તકે ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે પોલિસ અધિક્ષકને લેખિત રજૂઆત કરવામાં આવશે.




