મોરબી પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા PSI નું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા PSI બી.આર.જાડેજા આજે રાત્રે હેડક્વાર્ટર ખાતે ફરજ પૂર્ણ કરી એક્ટિવા લઈને મોરબી આવી રહ્યા હતા. ત્યારે જાંબુડિયા બ્રિજ પર કોઈ અજાણ્યા ટ્રકે પાછળથી ઠોકર મારી હતી. જેથી દીવાલ સાથે અથડાઈ ટ્રક નીચે આવી ગયા જતા આ ગોઝારા અકસ્માતમાં ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. તો અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.
બી.આર. જાડેજા મૂળ ભુજના મોટા રેહા ગામના છે. તેઓ છેલ્લા 2 વર્ષથી મોરબીમાં પોલીસ લાઇનમાં ફરજ બજાવી રહ્યા હતા. હાલ તો PSI ના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સાથે જ બનાવની જાણ થતાં ડીવાયએસપી, એ ડીવીઝન, એલસીબી, ટ્રાફિક સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ સમગ્ર બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ લાઈનમાં રહેતા મીતરાજસિંહ ભગવાનજીભાઈ જાડેજા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.12 ના રોજ તેના પિતા ભગવાનજી રવાજી જાડેજા મોરબી મકનસર પોલીસ હેડ કવાર્ટર ખાતે નોકરી અર્થે ગયા હતા જ્યાંથી રાત્રે નવેક વાગ્યા આસપાસ મિતરાજસિંહ તેના ઘરે હોય દરમિયાન હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા પી આઈ એસ એમ ચૌહાણનો ફોન આવ્યો હતો અને જાણ કરી હતી કે ભગવાનજીભાઈ જાંબુડીયા ઓવરબ્રિજ પરથી પસાર થતા હતા તે દરમિયાન એક કન્ટેનર આર જે ૦૭ જીડી ૧૨૧૫ ના ચાલકે તેને હડફેટે લેતા ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તો પોલીસે કન્ટેનર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.




