મોરબીની મચ્છુ નદી પર આવેલા જૂના આરટીઓ પુલ પરથી અનેક લોકોના આપઘાત કર્યાના કિસ્સા જગજાહેર છે ત્યારે આ મચ્છુ નદી પર આવેલા પુલ પર લોખંડની જાળી લગાવવા અંગે મોરબીના રમેશભાઈ રબારીએ મોરબી જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.
આ રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, મચ્છુ નદી પર બાંધવામાં આવેલા આરટીઓ પુલ પર છેલ્લા ઘણા વર્ષોથી અનેક લોકોએ આપઘાત કર્યો છે.
છેલ્લા ઘણા સમયથી આ પુલ પરથી આપઘાત કરનારની સંખ્યા વધી છે જે ચિંતાનો વિષય છે. ત્યારે જો પુલની બન્ને સાઇડ લોખંડની મજબૂત ઉંચી જાળી લગાવવામાં આવે તો આ આપઘાતની ઘટનાઓ અટકી શકે છે. જૂની આરટીઓ ઓફિસ પાસે મચ્છુ નદી પર પુલ આવેલ છે તે પુલ પરથી બંને સાઈડ નદીમાં જવા માટે રસ્તો છે તે પણ દિવાલ ચણીને સાઈડ બંધ કરવી જોઈએ.
આમ તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરવામાં આવે તેવી કલેકટર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.




