ટંકારા તાલુકાના હડમતીયા ગામે આગામી તા.16 થી તા.19 મી સુધી શ્રી પાલનપીર મંદિર ખાતે ભાદરવી વદ નોમ, દશમ, અગીયારસને અનુલક્ષી મેઘવાળ સમાજ દ્વારા પૌરાણીક મેળો યોજાવા જઈ રહ્યો છે. જ્યાં રોજના આશરે 5000 લોકો મેળો માણવા આવતા હોય છે. જેને અનુલક્ષીને જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ભારે વાહનોની અવર જવર પર રોક લગાવી છે.
મેળામાં લજાઈ ચોકડીથી વાંકાનેર તરફ જવાનો સ્ટેટ રોડ નીકળતો હોય અને જી.આઈ.ડી.સી. વિસ્તાર પણ આવેલ હોય જેના કારણે ભારે વાહનોની અવર-જવર વધુ પ્રમાણમાં રહેતી હોય છે, જેથી ટંકારાથી લજાઈ મુખ્ય માર્ગ પર વાહનો તેમજ પગપાળા માણસોની અવર-જવર બહોળી પ્રમાણમાં રહેનાર હોવાથી મેળામાં ટ્રાફિકની સમસ્યા ઉદ્દભવે છે. જેને દુર કરવા ભારે વાહનોના પ્રવેશબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
તો આ જાહેરનામામાં જણાવ્યા મુજબ, તા.16 ના રોજ 8 વાગ્યાથી તા.19 ના રોજ 2 વાગ્યા સુધી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ રહેશે.
લજાઈ ચોકડીથી હડમતીયા ગામ અંદર આવતા ભારે વાહનો પ્રવેશી શકાશે નહી. વાંકાનેરથી જડેશ્વર થઈ હડમતિયા આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહી. લજાઈ ચોકડી તરફથી જતાં ભારે વાહનો મિતાણા ચોકડીથી વાલાસણ ગામ, પીપળીયા રાજ, અમરસર, વાંકાનેર શહેર તરફ જઈ શકશે.
તો લજાઈ ચોકડી તરફથી જતાં ભારે વાહનો શકત શનાળાની રાજપર ચોકડીથી ધુનડા(સ), સજજનપર, જડેશ્વર, રાતીદેવડી,વાંકાનેર શહેર તરફ જઈ શકશે.
વાંકાનેર ત૨ફથી લજાઈ આવતા ભારે વાહનો અમરસર, પીપળીયારાજ, વાલાસણ, મિતાણા ચોકડી તરફ આવી શકશે અને વાંકાનેર તરફથી લજાઈ આવતા ભારે વાહનો રાતીદેવડી, જડેશ્વર, સજજનપર, ધુનડા(સ), શક્ત શનાળા, રાજપર ચોકડી તરફ આવી શકે છે.




