ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 3 અને 4 નવેમ્બર દરમિયાન મોરબી જિલ્લામાં યોજાનારા દાદા ભગવાન જન્મ જયંતિ મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ નિમિત્તે મોરબી જિલ્લામાં તેમની મુલાકાતને લઈને સુરક્ષા અને સુવિધાઓ અંગેની તૈયારીઓ તંત્ર દ્વારા ઝીણવટભેર કરવામાં આવી રહી છે.
દાદા ભગવાનની જન્મ જયંતી ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લામાં 3 થી 9 નવેમ્બર દરમિયાન ભવ્યાતિભવ્ય કાર્યક્રમોની આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
મોરબી જિલ્લા મુલાકાતને લઈને ધારાસભ્ય દુલ્લભજીભાઈ દેથરીયા તથા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સહીતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરી વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. સ્થળ પર સુરક્ષા, ટ્રાફિક મેનેજમેન્ટ, સ્ટેજ આરાંજમેન્ટ સહિતની વ્યવસ્થાઓને લઈને તંત્ર સજાગ જોવા મળ્યું હતું.
આ મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નિવાસી અધિક કલેક્ટર ઉમંગ પટેલ, પ્રાંત અધિકારી સુશીલ પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દિગ્વિજય સોલંકી અને દિવ્યેશ બાવરવા, તેમજ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રોહિત પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




