માનવતાની સેવા માટે પ્રેરણાસ્ત્રોત બને તેવું ઉદાહરણ મોરબીના મહેન્દ્રનગરના રહેવાસી મનોજભાઈ દેવશીભાઈ કાવરે આપી છે. તેમણે આજે 100મી વખત રક્તદાન કરીને સમાજ સેવા ક્ષેત્રે એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપલબ્ધિ માત્ર તેમની દયાશીલતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતી નથી, પરંતુ રક્તદાન અંગે જાગૃતિ ફેલાવતો મહત્વપૂર્ણ સંદેશ પણ આપે છે.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મોરબી પ્રખંડ દ્વારા હુતાત્મા દિન નિમિત્તે આયોજિત રક્તદાન શિબિરમાં મનોજભાઈએ આ 100મું રક્તદાન કર્યું હતું. તેઓ બાલ્યકાળથી RSSના સ્વયંસેવક છે તેમજ VHP મોરબી-માળિયા તાલુકા અધ્યક્ષ તથા ભારત વિકાસ પરિષદમાં પર્યાવરણ સંયોજક તરીકે ફરજો નિભાવતા હોય સમાજ સેવા ક્ષેત્રે સક્રિય ભૂમિકા અદા કરી રહ્યા છે.
મનોજભાઈ કાવર અનેક સંસ્થા તેમજHospitals દ્વારા આયોજિત રક્તદાન શિબિરોમાં વર્ષોથી નિયમિત ભાગ લઇ અસંખ્ય જીવ બચાવવામાં સહયોગ આપી ચૂક્યા છે. 100 વાર રક્તદાન કરવું અત્યંત દુર્લભ અને પ્રશંસનીય સિદ્ધિ છે, જે તેમની નિષ્ઠા અને નિસ્વાર્થ સેવાભાવનું પ્રતિબિંબ છે.
રક્તદાન અંગે સમાજમાં જાગૃતિ ફેલાવતા મનોજભાઈનું માનવું છે કે, “દરેક સ્વસ્થ વ્યક્તિ દર ત્રણ મહિને નિયમિત રક્તદાન કરી શકે છે અને કોઈપણ આડઅસર વિના અન્યના જીવ બચાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.”
મનોજભાઈના આ અદભુત કાર્યો માટે તેમના મિત્રો, સગા સંબંધીઓ, સેવાભાવી સંસ્થાઓ તથા RSSની બધી ભગિની સંસ્થાઓ દ્વારા અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સમાજના સાચા હીરો તરીકે તેમના કાર્યની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.




