HomeMorbiમોરબીમાં પ્રધાનમંત્રીના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણી અન્વયે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ

મોરબીમાં પ્રધાનમંત્રીના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણી અન્વયે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ

કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને કૃષિ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગોર ખીજડીયા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે “વિકસિત ભારત સંકલ્પ સંમેલન” યોજાયુ હતું.

આ પ્રસંગે ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપતાં ખેડૂતોને ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને પર્યાવરણમૈત્રી ટેકનોલોજી અપનાવી ‘આત્મનિર્ભર કૃષિ’ તરફ આગળ વધવા આહવાન કર્યું હતું. આ તકે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના સર્વાંગી કલ્યાણ માટે અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, કૃષિ ક્ષેત્રે થયેલા આધુનિક સંશોધનો અને ‘વિકસિત ભારત-૨૦૪૭’ ના સંકલ્પને ચરિતાર્થ કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.

ખેડૂતો પરંપરાગત રાસાયણિક ખેતી છોડી ગૌ-આધારિત કૃષિ પદ્ધતિ તરફ વળે તે હેતુથી કાર્યક્રમ સ્થળે ખાસ ૨૦ માહિતીપ્રદ કૃષિ સ્ટોલોનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું. આ સ્ટોલ્સમાં જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત બનાવવાની પદ્ધતિ, આચ્છાદન (મલ્ચિંગ), વાપસા ટેકનિક, ગૌ-આધારિત વિવિધ કૃષિ મોડેલ્સ તેમજ જૈવિક ઇનપુટ્સની જીવંત પ્રદર્શની ગોઠવવામાં આવી હતી. ઉપસ્થિત ખેડૂતોએ આ સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લઈ જમીનની ફળદ્રુપતા જાળવવા અને ખેતી ખર્ચ ઘટાડવા અંગે નિષ્ણાત વૈજ્ઞાનિકો પાસેથી પ્રશ્નોત્તરી દ્વારા સચોટ તકનીકી માર્ગદર્શન મેળવ્યું હતું.

આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, નાયબ ખેતી નિયામક કે.જી. પરસાણિયા, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને નાયબ ખેતી નિયામક કે.એમ. ડાભી, નાયબ બાગાયત નિયામક વી.એચ.નકુમ, મોરબી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, અગ્રણી જયંતિભાઈ રાજકોટિયા, અરવિંદભાઈ વાસદળિયા તેમજ કૃષિ, આત્મા પ્રોજેક્ટના  કે. એમ. ડાભી સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular