HomeMorbiમોરબી જિલ્લાના શાપર, જેતપર અને રંગપર ગામે નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર...
મોરબી જિલ્લાના શાપર, જેતપર અને રંગપર ગામે નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલના અધ્યક્ષસ્થાને ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો
મોરબી જિલ્લાની મોરબી તાલુકાની શ્રી શાપર પ્રાથમિક શાળા, શ્રી જેતપર કન્યા તાલુકા શાળા ને રંગપરની તાલુકા શાળા ખાતે મોરબીના નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ (ભા.વ.સે.)ના અધ્યક્ષસ્થાને ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ યોજાયો હતો.
આ અવસરે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલે જણાવ્યું હતું કે, ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રત્યેક બાળક શિક્ષિત અને જવાબદાર નાગરિક બને તે અનિવાર્ય છે. તે માટે ભણતર અને ગણતર બંને જરૂરી છે. તેમણે શિક્ષકોને પણ બાળકોને સ્નેહપૂર્વક ભણાવવા તથા તેના સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો.
આ મહોત્સવમાં નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓનું વહાલભેર સ્વાગત કરી શાળા પ્રવેશ કરાવાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે નવપ્રવેશી બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના તેજસ્વી તારલાઓનું વિશેષ બહુમાન કરાયું હતું. શાળાના બાળકોએ પણ આ પ્રસંગે પોતાના સુંદર વક્તવ્યો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે જેતપર સરપંચ જયંતીભાઈ બોચિયા, રંગપર સરપંચ મેઘરાજસિંહ ઝાલા, સાપર સરપંચ રવીરાજસિંહ જાડેજા, ગાળા સીટ તાલુકા પંચાયત સદસ્ય દિલીપભાઈ દલસાણીયા, જેતપર કન્યા શાળા એસ.એમ.સી. અધ્યક્ષ મનોજભાઈ ભીમાણી, જેતપર તાલુકા પંચાયત સદસ્ય કૈલાશબેન મહેશભાઈ કાલરિયા, નાયબ મામલતદાર (મધ્યાહન ભોજન) કલ્પેશભાઈ બુસા, સી.આર.સી. કો-ઓર્ડીનેટર ચેતનભાઈ જાકાસણીયા, શિક્ષકો, વાલીઓ, આંગણવાડીના બહેનો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.