HomeMorbiમચ્છુ-૩ ડેમ ૮૦% ભરાતાં એલર્ટ: મોરબી અને માળિયા (મી) તાલુકાના ૨૧ ગામોને...
મચ્છુ-૩ ડેમ ૮૦% ભરાતાં એલર્ટ: મોરબી અને માળિયા (મી) તાલુકાના ૨૧ ગામોને તકેદારી રાખવા સૂચના
મોરબી તાલુકાના જૂના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-૩ સિંચાઈ યોજનામાં રુલ લેવલ મુજબ ૮૦% જેટલો પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. હાલમાં જળાશયમાં પાણીની આવક સતત ચાલુ હોવાથી વધારાનું પાણી નદીના વહેણમાં છોડવાની ક્ષણિક જરૂરિયાત ઊભી થઈ છે. પાણીનું સ્તર ૨૬.૦૪ મીટરે પહોંચતાં અને કુલ જથ્થો ૪.૩૪૦ MCM થતાં સિંચાઈ વિભાગ દ્વારા રાત્રે ૨૨:૦૦ કલાકે મોરબીના જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને સિંચાઈ વર્તુળ સહિતના અધિકારીઓને તકેદારી અને જરૂરી કાર્યવાહી માટે સત્તાવાર એલર્ટ મેસેજ પાઠવવામાં આવ્યો છે.
ડેમની જળસપાટી વધવાના કારણે નદીના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જૂના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જૂના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા (મી) તાલુકાના કેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા (મી), હરીપર અને ફતેપર ગામોનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આ તમામ ગામોના લોકોને તથા માલ-મિલકત અને ઢોર-ઢાંખરને નદીના પટમાં ન જવા અને સંપૂર્ણ સાવચેતી વર્તવા માટે અપીલ કરવામાં આવી છે.