HomeMorbi"10 વર્ષથી મોતનો માર્ગ બન્યો રાજકોટ-મોરબી હાઇવે! કલેક્ટરને ખુલ્લો પડકાર: 48 કલાકમાં...
“10 વર્ષથી મોતનો માર્ગ બન્યો રાજકોટ-મોરબી હાઇવે! કલેક્ટરને ખુલ્લો પડકાર: 48 કલાકમાં કાર્યવાહી નહીં તો કાયદેસરની લડત”
મોરબી: રાજકોટ-મોરબી સ્ટેટ હાઇવેની અત્યંત ખરાબ હાલતને લઈને કોંગ્રેસ અગ્રણી ખેડૂત નેતા અને પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય મહેશ રાજકોટિયાએ જિલ્લા કલેક્ટરને ખુલ્લો પત્ર લખી તંત્ર સામે આકરા શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષથી પંચાસર ચોકડીથી સનાળા, લજાઈ અને ટંકારા થઈને જતો માર્ગ મોટા ખાડાઓના કારણે અકસ્માત ઝોન બની ગયો છે, છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી.
મહેશ રાજકોટિયાએ કલેક્ટરને અપીલ કરી છે કે તેઓ માત્ર સરકારી કચેરીઓનું નહીં પરંતુ આ હાઇવેનું પણ સ્થળ નિરીક્ષણ કરે અને 48 કલાકમાં તાત્કાલિક મરામતના આદેશ આપે. તેમણે દાવો કર્યો છે કે રોડના રી-સર્ફેસિંગની મંજૂરી મળ્યાની વાત વર્ષોથી કરવામાં આવે છે, પરંતુ સ્થળ પર કોઈ કામ દેખાતું નથી.
રાજકોટિયાએ ચેતવણી આપી છે કે જો ખાડાઓના કારણે કોઈ જાનહાનિ થશે તો જવાબદાર અધિકારીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે. સાથે જ 15 દિવસમાં સમગ્ર હાઇવેના રી-સર્ફેસિંગનું કામ શરૂ કરવા અને વર્ષોથી બેદરકારી દાખવનારા જવાબદારો સામે તપાસ તથા કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે.