HomeMorbiમોરબી તાલુકા પોલીસે 'ઓપરેશન મિલાપ' હેઠળ ૩૬ ગુમ થયેલ વ્યક્તિઓ અને સગીરાઓને...
મોરબી તાલુકા પોલીસે ‘ઓપરેશન મિલાપ’ હેઠળ ૩૬ ગુમ થયેલ વ્યક્તિઓ અને સગીરાઓને પરિવાર સાથે મિલન કરાવ્યું
ગુજરાત રાજ્ય સરકારના ગૃહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના તથા સરહદી રેન્જ આઈ.જી.પી. અને મોરબી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ દ્વારા “ઓપરેશન મિલાપ” સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે. આ વિશિષ્ટ અભિયાનનો મુખ્ય હેતુ ગુમ થયેલા બાળકો, મહિલાઓ અને પુરુષોને શોધીને તેમના પરિવારજનો સાથે પુનઃમિલાપ કરાવવાનો તેમજ માનવ તસ્કરી અટકાવવાનો છે.
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
આ કામગીરી દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ફેસ રેકગ્નિશન સિસ્ટમ (Face Recognition System), ડેટાબેઝ, આધુનિક ટેકનોલોજી અને સ્થાનિક બાતમીદારો (હ્યુમન સોર્સ)ની મદદ લેવામાં આવી હતી. અલગ- અલગ રાજ્યો અને જિલ્લાઓની પોલીસ વચ્ચે માહિતીની આપ-લે કરીને ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા હતા.
કુલ ૩૬ વ્યક્તિઓનું સફળ રેસ્ક્યુ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા સન-૨૦૨૬ના સમયગાળા દરમિયાન ગુમ થયેલા અને અપહરણના ગુનામાં ભોગ બનનારનો પતો લગાવવામાં આવ્યો છે. પોલીસે કુલ ૧૨ સગીર વયની દીકરીઓ, ૧૬ મહિલાઓ અને ૮ પુરુષો મળીને એકંદરે ૩૬ લોકોને શોધી કાઢીને તેમના સગા-સંબંધીઓ સાથે સુરક્ષિત મિલાપ કરાવ્યો છે.
આ કામગીરીથી મોરબી પોલીસે “પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે” તે સૂત્રને સમાજમાં ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે.