માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામમાં યુવક નરસંગ ભગવાનનો પાઠ કરવામાં આવ્યો હતો જ્યાં જમવા જતા એક શખ્સ ગાળો બોલતો હતો. આથી, તેને ગાળો બોલવાની ના પાડતા અન્ય ત્રણ શખ્સો સાથે મળી યુવકને છરી, લોખંડના ધારીયાથી માર મારી ઈજા પહોંચાડી હોવાની માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, માળીયા (મીં) તાલુકાના સરવડ ગામે રહેતા દિપકભાઇ વિરજીભાઈ મુછડીયા (ઉ.વ.૨૭) એ આરોપી અરવિંદભાઇ રણછોડભાઇ પરમાર તથા તુલસીભાઇ રણછોડભાઇ પરમાર અને રણછોડભાઇ પરમાર બધા રહે- સરવડ ગામવાળા વિરુદ્ધ માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પંકજભાઇ ગામમાં નરસંગ ભગવાનનો પાઠ હતો ત્યાં જમવા ગયા હતા ત્યારે આરોપી બેફામ ગાળો બોલતા હોવાથી તેને ગાળો બોલવાની ના પાડતા બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેથી તેને સારૂ નહી લાગતા આરોપીએ હાથમાં છરી, ધારીયા લઈ ફરીયાદીને માર મારી ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.




