માળિયા મીયાણા તાલુકાના વેજલપર ગામે તસ્કરોએ ત્રણ ઘરોને નિશાન બનાવી ચોરીની ઘટના અંજામ આપી હતી. ગામમાં તસ્કરોએ પ્રૌઢના રહેણાંક મકાન તેમજ અન્ય બે ઘરોમાંથી રોકડ રકમ અને બાઈક મળી કુલ રૂ. 48,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. માળિયા પોલીસે એક અઠવાડિયા બાદ આ મામલે ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, વેજલપર ગામે રહેતા અને ખેતી કરતા કિશોરભાઈ અંબારામભાઈ ભોરણીયા (ઉં. 55) એ માળિયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદ મુજબ તસ્કરોએ તેમના મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી કબાટમાં રહેલી રૂ. 38,000ની રોકડ રકમ ચોરી કરી હતી.
તસ્કરોએ સાથે ધર્મેશભાઈના ઘરે પણ રોકડ રકમની ચોરી કરી તેમજ ગૌતમભાઈ ભરવાડની હીરો કંપનીની મોટરસાયકલ (કિંમત રૂ. 10,000) પણ લઈ ગયા હતા. કુલ રૂ. 48,000ના મુદ્દામાલની ચોરી બાદ અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા. માળિયા પોલીસે એક અઠવાડિયા બાદ ફરીયાદ નોંધી તસ્કરોની શોધખોળ માટે તપાસ હાથ ધરી છે.




