ઉત્કૃષ્ટ કામગીરી અને ઉચ્ચ વ્યવસાયિક ધોરણો જાળવવા બદલ પોલીસ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ અરવિંદસિંહ ગોહિલને “કેન્દ્રીય ગૃહ મંત્રી દક્ષતા પદક 2025” એનાયત કરવામાં આવશે. આ પદક ફેબ્રુઆરી 2024માં ગૃહ મંત્રાલય દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું અને કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે આપવામાં આવે છે.
આ પ્રતિષ્ઠિત પદક ચાર કેટેગરીમાં અપાય છે જેમાં સ્પેશિયલ ઓપરેશન, ઇન્વેસ્ટિગેશન, ઇન્ટેલિજન્સ, ફોરેન્સિક સાયન્સનો સમાવેશ થાય છે.
દર વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અવસરે આ પદકની જાહેરાત કરવામાં આવે છે. વર્ષ 2025 માટે સ્પેશિયલ ઓપરેશન કેટેગરીમાં એટીએસ ડીઆઈજી સુનિલ જોશી સહિત કુલ 15 અધિકારીઓને મેડલ એનાયત થશે, જ્યારે ઇન્વેસ્ટિગેશન કેટેગરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ ગોહિલને આ સન્માન અપાશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં મોરબી જિલ્લામાં જમીનના વિવાદને લઈને થયેલ ત્રીપલ મર્ડર કેસની વિશેષ તપાસ દરમિયાન તત્કાલીન પીએસઆઇ શક્તિસિંહ ગોહિલે ચુસ્ત તપાસ કરતા આરોપીની સંડોવણી સાબિત કરી હતી. જેના પરિણામે તમામ 12 આરોપીઓને આજીવન કેદની સજા થઈ હતી.

