Wednesday, May 6, 2026
HomeGujaratરાજ્યમાં કમોસમી વરસાદથી પાકનું ભારે નુકસાન: એક સપ્તાહમાં સર્વે પૂર્ણ કરી રિપોર્ટ...

રાજ્યમાં કમોસમી વરસાદથી પાકનું ભારે નુકસાન: એક સપ્તાહમાં સર્વે પૂર્ણ કરી રિપોર્ટ આપવાનો આદેશ

Advertisement
Advertisement

રાજ્યમાં ચાલુ સપ્તાહથી પડી રહેલા કમોસમી વરસાદે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિત મોટા વિસ્તારમાં ખેડૂતોને પાકમાં ભારે નુકશાની વેઠવી પડી રહી છે. ચાર મહિના સુધી મહેનત કરી ઉગાડેલો પાક હાથે આવી ચૂક્યો હતો ત્યારે અચાનક વરસાદ અને આંધીએ પાક ધોઈ નાખતા ખેડૂતોની હાલત દયનીય બની છે. રાજ્યભરમાંથી ખેડૂતો તરફથી થયેલી તસવીયો અને ફરિયાદો બાદ સરકારે પાક નુકશાની વળતર માટે સર્વેની જાહેરાત કરી છે.

આ સંદર્ભે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને તાત્કાલિક સર્વે શરૂ કરી રિપોર્ટ મોકલવા સૂચના આપી છે. જેના અનુસંધાને મોરબી જિલ્લામાં પણ તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીએ સર્વે સિસ્ટમેટિક રીતે થાય તે માટે કુલ 29 ટીમોની રચના કરી છે. દરેક ટીમમાં બે ગ્રામ સેવક રાખવામાં આવ્યા છે. સાથે જ તલાટી-કમ-મંત્રી, સરપંચ અને પસંદગીના સભ્યની સહાય લેવામાં આવશે.

તાલુકાવાર ટીમોની વિગતો એ મુજબ છે. માળીયા મીયાણા 5, મોરબી 6, ટંકારા 5, હળવદ 6, વાંકાનેર 7. દરેક તાલુકામાં એક નોડલ તથા એક સહ-નોડલ અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમો સર્વે પૂર્ણ કરી પોતાનો રિપોર્ટ નોડલ અધિકારીને સોંપશે. તો બીજી તરફ તાલુકા કક્ષાથી જિલ્લા કક્ષાએ દરરોજ પ્રગતિનો ડે-ટુ-ડે રિપોર્ટ મોકલવાનો રહેશે.

ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, સમગ્ર સર્વે એક સપ્તાહની અંદર પૂર્ણ કરી પાક નુકશાની અંગેનું મૂલ્યાંકન સરકારને મોકલવામાં આવે. પાકમાં નુકશાનીનો સચોટ આંકલન થયા બાદ જ ખેડૂતોને વળતરની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે. ખેડૂતોમાં આશા છે કે સરકાર દ્વારા વહેલી તકે સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular