મોરબીમાં શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં આજે માળીયા તાલુકાના નાની બરાર ગામે સિંચાઈના વિકાસ કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.
મંત્રીના હસ્તે જિલ્લાના અંદાજે રૂ.7.11 કરોડના 6 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજનાઓ સાકાર થતા અંદાજિત 1200 હેક્ટરથી વધુ વિસ્તારને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે. આ સવલત થકી માળિયા વિસ્તારનું કૃષિ ક્ષેત્ર ઊજળું બનશે અને કૂવાઓનું રિચાર્જ થતા જમીનમાં પાણીના તળ પણ ઊંચા આવશે.
આ તકે, પ્રાસંગિક પ્રવચન આપતા મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મચ્છુ નદીનું પાણી દરિયામાં જતું અટકે અને તેનો કાર્યક્ષમ ઉપયોગ કરી મોરબી જિલ્લો અને ખાસ કરીને માળિયા તાલુકો પાણીદાર બને તે માટે સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને માળિયાના તમામ પ્રશ્નોના નિરાકરણ બાબતે અમે સતત પ્રયત્નશીલ છીએ.
આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, માળિયામાં હાથ ધરાઈ રહેલા ખેડૂતોના વિકાસ અને સ્થળાંતર અટકાવવામાં અગત્યની ભૂમિકા ભજવશે. સરકારના અથાગ પરિશ્રમ થકી આજે ગામડાઓમાં સતત વિકાસ થઈ રહ્યો છે અને વિવિધ ગામડાઓની કાયાપલટ થઈ રહી છે.
મંત્રીના હસ્તે નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત મોરબી સિંચાઈ વિભાગ (રાજ્ય) તથા સિંચાઈ વિભાગ (પંચાયત) હસ્તકના રૂ. 2.04 કરોડના ખર્ચે ધોડાધ્રોઈ નદી પર જેતપર-શાપર ગામે નવો ચેકડેમ, રૂ. 3.03 કરોડના ખર્ચે મચ્છુ-3 મુખ્ય નહેરથી મોટી બરાર-જશાપર તળાવનું જોડાણ, 3.05 કરોડના ખર્ચે મચ્છુ-3 માઈનોર નહેરથી મેઘપર ગામ તળાવનું જોડાણ, 3.107 કરોડના ખર્ચે નવાગામ-ધરમનગર-રાસંગપર તળાવનું જોડાણ, 3.033 કરોડના ખર્ચે જશાપર-નાની બરાર-જાજાસર-દેવગઢ તળાવનું જોડાણ અને 3.014 કરોડના ખર્ચે મહેન્દ્રગઢ-સરવડ તળાવનું જોડાણના કામ સહિત કુલ 7.11 કરોડના ખર્ચે નિર્માણ થનાર 6 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા, માળિયા તાલુકા પંચાયત પ્રમુખ સુશીલાબેન બાવરવા સહિત પદાધિકારીઓ, માળિયા મામલતદાર એચ.સી. પરમાર, સિંચાઈ વિભાગ (રાજ્ય અને પંચાયત)ના કાર્યપાલક ઇજનેર હરદીપ છૈયા અને યશ ગુઢકા તથા સ્થાનિક અગ્રણીઓ, પદાધિકારી/અધિકારીઓ તેમજ નાની બરાર સહિત આસપાસ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




