HomeMorbiમોરબીમાં પઠાણી ઉઘરાણીનો કિસ્સો: 11 લાખના લેણાં સામે 2.43 કરોડ વસૂલ્યા છતાં...
મોરબીમાં પઠાણી ઉઘરાણીનો કિસ્સો: 11 લાખના લેણાં સામે 2.43 કરોડ વસૂલ્યા છતાં વધુ રૂપિયા માટે ધમકી
મોરબી જિલ્લામાં બેફામ વ્યાજખોરીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે શહેરમાં પઠાણી ઉઘરાણીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મોરબીના એક ખેડૂતે આરોપીઓ પાસેથી 11 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, પરંતુ આરોપીઓએ ભારે વ્યાજ વસૂલી અત્યાર સુધીમાં 2.43 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હોવા છતાં વધુ પૈસાની માંગણી કરી ધમકી આપતા બે શખ્સો સામે પોલીસમાં ગુનો નોંધાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ પર રહેતા અને ખેતી કરતા સુરેશભાઈ પ્રાગજીભાઈ ભાડજા (ઉ.વ.60) એ આરોપી રમેશભાઈ રામજીભાઈ ભાલોડીયા તથા અશ્વિનભાઈ રામજીભાઈ ભાલોડીયા રહે. બંને આર્યનગર સોસાયટી જીઆઇડીસી સામે શનાળા રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને ધંધા માટે નાણાંની જરૂર પડતા તેમણે વર્ષ ૨૦૨૩ દરમિયાન રમેશભાઈ રામજીભાઈ ભાલોડીયા અને અશ્વિનભાઈ રામજીભાઈ પાસેથી રોકડા રૂ.૧૧,૦૦,૦૦૦/- (અગ્યાર લાખ) લીધેલ હોય જેના દર અઠવાડીયે તેમજ મહીને ૫ ટકા લેખે મળી વ્યાજના રૂ. ૬,૭૫૦૦૦/- ચુકવી આજદીન સુધીમાં રૂ. ૨,૪૩,૦૦૦૦૦/- (બે કરોડ તેતાલીસ લાખ રૂપીયા પુરા) ચુકવી આપેલ હોવા છતા વધુ વ્યાજની માંગણી કરી અને જો રૂપિયા નહી આપેતો ફરીયાદી તથા તેના પરીવારને ઘરબાર વગરના કરી નાખવાની ગર્ભીત ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ ૩૮૪, ૫૦૬(૧), ૧૧૪ તેમજ ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતના અધિનિયમ- ૨૦૧૧ની કલમ ૪૦ અને ૪૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.