HomeMorbiઝઘડો શાંત કરાવવા ગયેલા યુવક પર જીવલેણ હુમલો: ધારીયા વડે માથામાં ઘા...
ઝઘડો શાંત કરાવવા ગયેલા યુવક પર જીવલેણ હુમલો: ધારીયા વડે માથામાં ઘા ઝીંક્યા
મોરબીના નવલખી રોડ વિસ્તારમાં પાડોશી દંપતીનો ઝઘડો શાંત કરાવવા ગયેલા યુવકને ગંભીર ઈજા પહોંચાડતો હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્રણ શખ્સોએ મળીને ધારીયા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર ગાયત્રી આશ્રમ પાછળ રહેતા અને છકડો ચલાવી ગુજરાન ચલાવતા દીપકભાઈ સુરેશભાઈ આંત્રેસા (ઉ.વ.૩૭) એ આરોપી જગદીશભાઈ સરવૈયા, જગદીશભાઈનો દિકરો દક્ષ, જગદીશભાઈના ભાઈ છનાભાઈ રહે. તમામ મોરબી રાજકોટ બાયપાસ ધુતારી વિસ્તાર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બિ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે પાડોશી વિક્રમભાઈ ડાભી અને તેમની પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થતો હતો. વિક્રમભાઈની દીકરીએ દીપકભાઈને બોલાવતા તેઓ સમાધાન કરાવવા માટે વચ્ચે પડ્યા હતા. ત્યારબાદ વિક્રમભાઈ ઝઘડો કરીને ઘર છોડીને જગદીશભાઈ જીવાભાઈ સરવૈયાની વાડી તરફ ભાગ્યા હતા. અને દીપકભાઈ તેમને પરત લેવા માટે ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન મામલો વધુ બિચક્યો હતો. ત્યાં હાજર જગદીશભાઈ, તેમનો દીકરો દક્ષ અને છનાભાઈ નામના શખ્સોએ દીપકભાઈ પર હુમલો કર્યો હતોજગદીશભાઈના દીકરા દક્ષે પોતાની પાસે રહેલું ધારીયું દીપકભાઈના માથામાં મારી દીધું હતું, જ્યારે છનાભાઈએ ડાબા હાથના કાંડા પર ધારીયાનો ઘા ઝીંક્યો હતો. હુમલાખોરોએ “હવે પછી અમારી વાડી બાજુ આવીશ તો તને જાનથી મારી નાખીશું” તેવી ધમકી પણ આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.