મોરબી જીલ્લા પોલીસ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી અનુસંધાને અનુસુચિત જાતી/ અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લામાં વસવાટ કરતા અનુસુચિત જાતી/અનુસુચિત જનજાતિના ધોરણ ૧૦ કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે કારકિર્દી માર્ગદર્શન માટે જીલ્લા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક કચેરી ખાતે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લામાંથી આશરે૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા.
આ તકે, જવાહર નવોદય વિધાલયના આચાર્ય રવીન્દ્ર બોરલે દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ પછી આગળ શું અભ્યાસ કરી શકાય, વિધાર્થીએ મનપસંદ વિષયમાં કારકિર્દી માટે કયા કયા અવકાશ છે તે વિષય પર જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તો આ અવસરે ડીવાયએસપી પી એ ઝાલાએ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે અને કેન્દ્ર તેમજ રાજ્યની જાહેર સેવાઓ માટેની પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને સરકારની યોજનાઓ વિષે વિગતવાર જરૂરી માહિતી આપી હતી. ડીવાયએસપી વી બી દલવાડીએ વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો વિષે યોગ્ય માહિતી આપી હતી તેમજ તેમના નિર્ધારિત લક્ષ્ય સુધી કઈ રીતે પહોંચી શકાય તે અંગે સવિસ્તૃત માહિતી આપી હતી. તો સાયબર અવેરનેશ બાબતે અને મોબાઈલના ઉપયોગથી થતા લાભો અને ગેરલાભો વિષે પણ વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
ઉલ્લેખનીય છે કે, દેશના બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિધાર્થીઓને પોતાની કારકિર્દી વિશે વિસ્તૃત માર્ગદર્શન મળે તે માટેના જિલ્લા પોલીસના સરાહનીય પ્રયાસને વિધાર્થીઓ તેમજ વાલીઓએ આવકાર્યો હતો.




