અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનાર બાળકના ગુણોને પાયામાંથી શીખ આપવી. આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે. તેમાનો એક સંસ્કાર એટલે ‘ગર્ભ સંસ્કાર’. ત્યારે મોરબી જિલ્લાના હળવદ ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.સી. ભટ્ટના અધ્યક્ષસ્થાને ગત તા.૧૬ ના રોજ હળવદ ઘટક દ્વારા હળવદમાં વૈજનાથ મહાદેવ મંદીર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અનુસંધાને સર્વ ધર્મના ૪૦ સગર્ભા બહેનોને સંસ્કારી બાળક માટે ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા ગર્ભ સંસ્કાર વિધિ કરાવવામાં આવી હતી. ઉપરાંત સગર્ભા બહેનોને પોષણ માટે દાતાઓ દ્વારા ખજૂર તથા લીલા નાળિયેરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ તકે, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન એચ.ઉપાધ્યાય, તાલુકા વિકાસ અધિકારી પરેશભાઈ ગૌસ્વામી, ચેરમેન મહિલા અને બાળ વિકાસના પ્રતિનિઘિ રવજીભાઇ પરમાર, ગુજરાત મહિલા ઉપાધ્યક્ષ ઉર્વશીબેન પંડયા, સુપરવાઈઝર મમતાબેન રાવલ, પ્રોગ્રામના દાતા નિવૃત આંકડા મદદનીશ એ.એમ. સંઘાણી, પાટિયા ગ્રુપ હળવદ, વિદ્યાબેન બળવંતભાઈ જોશી, ડિસ્ટ્રિક્ટ બ્લોક કો.ઓર્ડીનેટર NNM અશોકભાઈ તથા હળવદ આઈ.સી.ડી.એસ.ના સ્ટાફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.




