મોરબીની ચકચારીત ઝુલતા પુલની દુર્ઘટનાને આજે પણ લોકો ભૂલી શક્યા નથી. કેટલીય માસૂમ જિંદગીનો ભોગ લેનાર આ ઝુલતા પુલની દુર્ઘટના આજે પણ એક રહસ્ય જેવી છે કારણ કે હજુ સુધી આ ઘટનાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને પીડિતોને આજ સુધી કોઈ ન્યાય મળ્યો નથી.
આ દુર્ઘટનામાં પીડિત પરિવારો દ્વારા બનાવવામાં આવેલી ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન દ્વારા હવે સુપ્રીમ કોર્ટના દરવાજે CBI તપાસNI માંગ સાથે ગયા છે. આ સમગ્ર કેસની સીબીઆઇ પાસે તપાસ કરાવવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. આ અરજીમાં તેઓએ જણાવ્યું હતું કે, મોરબી પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલી છે તેમાં પીડિતોને ન્યાય મળે તેવી શક્યતાઓ જણાતી નથી. કારણ કે એસઆઇટી દ્વારા કરવામાં આવેલી તપાસ અને મોરબી પોલીસ દ્વારા કરાયેલી તપાસમાં ઘણુ અંતર છે.
એટલું જ નહીં, રાજ્ય સરકારની એસઆઇટી દ્વારા જે તપાસ કરવામાં આવી હતી તેનો રિપોર્ટ પણ મોરબી પોલીસે ચાર્જશીટમાં રજૂ કર્યો નથી. જેથી આ કેસમાં જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓની ભૂમિકા સ્પષ્ટ થતી નથી. તેથી જો આ બાબતે સીબીઆઇની તપાસ કરવામાં આવે તો તેઓને ન્યાય મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ અરજીને સ્વીકારી લીધી છે અને આ મામલે રાજ્ય સરકારને નોટિસ પણ ફટકારી છે જેમાં તેને જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.




