મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ દુકાનમાં જુની અદાવતનો ખાર રાખી સાત શખ્સોએ યુવકને છરી, ધોકા, પાઈપથી મારમારી હત્યા નિપજાવી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબીના વજેપર શેરી નં.13 રામજી મંદિર વાળી શેરીમાં રહેતા ભાવનાબેન નારણભાઈ કંઝારીયા (ઉ.વ.45) એ આરોપી દિલીપ મહેશભાઈ કંઝારીયા, અરવિંદભાઈ ઉફે મુન્નો ડાયાભાઈ પરમાર, કિશન પ્રભુભાઈ પરમાર, પ્રભુભાઈ ડાયાભાઈ પરમાર, મહેશ ઉફે પાંચો ડાયાભાઈ પરમાર, જગાભાઈ ડાયાભાઈ પરમાર તથા અમિત મહેશ ઉફે પાચો પરમાર તમામ રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના દિકરા ગીરીશ (ઉ.વ.27) ને અગાઉ આરોપી મહેશ ઉફે પાંચો ડાયાભાઈની ભત્રીજીને તેના પાડોશમાં રહેતા પ્રકાશ વિનુ સાથે પ્રેમ સંબંધ હોય અને ગીરીશ તેને મદદ કરતો હોવાનો વહેમ રાખી ફરીયાદીના દિકરા વિરુદ્ધ 2017 માં પોલીસ ફરીયાદ કરી હતી તેમજ બે દિવસ પહેલા પણ આરોપી દિલીપ મહેશ સાથે ફરીયાદીના દિકરાને ગાળો બોલવા બાબતે મારામારી થઈ હતી જેનો રાગદ્રેષ રાખી ફરીયાદીના દિકરાને ગાળો બોલી આરોપીઓએ છરી, ધોકા, પાઈપ, પથ્થરથી માર મારતા યુવકનું મોત નિપજ્યું હતું, જેથી મૃતકના માતાએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




