દિવાળીના પર્વે આખું શહેર ફટાકડાની આતશબાજીથી ઝગમગી ઉઠે છે, ત્યારે ફટાકડાના કારણે નાની-મોટી આગની દુર્ઘટના થવાની શક્યતા વધે છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આગની કોઈપણ ઘટના બને તો તરત જ પહોંચી જાનમાલનું નુકસાન અટકાવી શકાય તે માટે મોરબી મહાનગરપાલિકાનો ફાયર વિભાગ અત્યારથી એલર્ટ મોડ પર આવી ગયો છે.
ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દિવાળીની સાંજથી જ સમગ્ર ફાયર સ્ટાફ સ્ટેન્ડબાય રહેશે. શહેરના મહત્વના ત્રણ સ્થળો જેમાં સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ નજીક, નવા બસ સ્ટેન્ડ પાસે અને સુધારા શેરીમાં આવેલા ફાયર સ્ટેશન ખાતે તૈનાત ટીમ તૈયાર રહેશે.
કુલ 21 જેટલો ફાયર સ્ટાફ ત્રણ બાઉઝર સાથે કોઈપણ જગ્યાએ લાગેલી આગ બુઝાવવા તુરંત રવાના થઈ શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.




