મોરબી શહેરમાં એક વર્ષ પહેલાં વ્યાજના રૂપિયા અંગે પોલીસમાં આપેલી અરજીનું મનદુઃખ રાખી બે વ્યાજખોર શખ્સોએ વેપારી યુવક પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ગોકુલ-મથુરા સોસાયટી, મારુતિનંદન એપાર્ટમેન્ટ, બ્લોક નં. 701, કેનાલ રોડ, મોરબી ખાતે રહેતા અને સિરામિક ટ્રેડિંગનો વ્યવસાય કરતા કેવલભાઇ વિનોદભાઇ હરણીયા (ઉ. 23) એ મોરબી સીટી ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, કેવલભાઇ તેમની ઓફિસની નીચે ઉભા હતા ત્યારે આરોપી સુરેશભાઇ જેમલભાઇ ભુંભરીયા (રહે. ગજડી ગામ, તા. ટંકારા) અને પ્રકાશભાઇ રામજીભાઇ પઢારીયા (રહે. રામપર, તા. ટંકારા) ત્યાં આવી પહોંચ્યા હતા. બંને આરોપીઓએ ગાળો આપતા જણાવ્યું કે, “વ્યાજના પૈસા અંગે તું પોલીસે અરજી કરી હતી, એ વાત ભૂલી જા,” તેમ કહી લોખંડના પાઇપ વડે કેવલભાઇ પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં કેવલભાઇના પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. આજુબાજુના લોકો ભેગા થતા બંને આરોપીઓએ “જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી ફરાર થયા હતા.
હાલ મોરબી સીટી ‘બી’ ડિવિઝન પોલીસે કેવલભાઇની ફરિયાદને આધારે બંને આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.




