હળવદ તાલુકાના જુના અને નવા ઈશનપુર ગામની વચ્ચે પસાર થતી કેનાલમાં એક યુવતીનું દુર્ભાગ્યપૂર્ણ મોત થયાનો બનાવ સામે આવ્યો છે. મૂળ મયાપુર ગામની અને હાલમાં નવા ઈશનપુરમાં વસવાટ કરતી વિધિબેન અશિષભાઈ જાદવ (ઉંમર 18) વાડીએથી ઘરે પરત ફરતી વખતે અકસ્માતનો ભોગ બની હતી.
મળતી માહિતી અનુસાર, વિધિબેન ગઈકાલે બપોરે ઘેર જઈ રહી હતી. માર્ગમાં આવેલી કેનાલ પાસે તેઓએ હાથ–પગ ધોવા તથા પાણી પીવાનું નક્કી કર્યું. દરમિયાન પગ લપસી જતા તે કેનાલના વહેણમાં પડી ગઈ હતી. પાણીમાં ડૂબી જતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

