HomeMorbiવાંકાનેરના જાલસિકાના સરપંચના પુત્રો પર અદાવતમાં જીવલેણ હુમલો: કુહાડી-પાઈપ-લાકડીથી હુમલો, પાંચ સામે...
વાંકાનેરના જાલસિકાના સરપંચના પુત્રો પર અદાવતમાં જીવલેણ હુમલો: કુહાડી-પાઈપ-લાકડીથી હુમલો, પાંચ સામે ગુનો
વાંકાનેર તાલુકાના જાલસિકા-વસુંધરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ધીરૂભાઈ ડાંગરના પુત્રો પર અદાવત રાખી જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી છે. ગામમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, બોગસ પ્રમાણપત્રો તેમજ ખનિજ ચોરી અંગે સરપંચ દ્વારા કરાયેલી રજૂઆતોનું મનદુઃખ રાખીને હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ ફરિયાદ મુજબ, સરપંચના પુત્રો પોતાના પિતાની શોધખોળ કરવા માટે નીકળ્યા હતા ત્યારે વસુંધરા ગામે દૂધ મંડળી પાસે પાંચ શખ્સોએ તેમને ઘેરી લીધા હતા. ત્યારબાદ ગાળો આપી કુહાડી, લોખંડના પાઈપ અને લાકડીઓ જેવા હથિયારો વડે જીવનદીપ ધીરૂભાઈ ડાંગર તથા તેમના ભાઈ એભલ પર હુમલો કરી શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.
આ બનાવ અંગે જીવનદીપ ધીરૂભાઈ ડાંગરે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં લાલાભાઈ સામંતભાઈ સરૈયા, વિરમ સામંતભાઈ સરૈયા, સુરેશ રેવા સરૈયા, ગોપાલ લાલા સરૈયા અને શૈલેષ રેવા સરૈયા સામે ગુનો નોંધાયો છે.
હુમલામાં જીવનદીપભાઈને માથામાં હેમરેજ તેમજ હાથ-પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ થતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તને ભાનમાં આવ્યા બાદ નોંધાયેલી ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.