મોરબીના રાજપર ગામે સરકારી અનાજના ગોડાઉનમાં યુવકને એક શખ્સ સાથે મજુરી કામ અર્થે બોલાચાલી થયેલી હોય જેનો ખાર રાખી યુવકને એક શખ્સે ગાળો આપી લોખંડના સળિયા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના વીસીપરા વિસ્તારમાં રમેશ કોટનમીલની ચાલી કેશવાનંદ મંદિરની બાજુમાં રહેતા અને મજુરી કામ કરતા કાસમભાઈ કાદરભાઈ કાજડીયા (ઉ.વ.30) એ આરોપી અર્જુનભાઈ અરવિંદભાઈ દેવીપુજક રહે. કુબેર ટોકિઝ પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીને આજથી ત્રણેક દિવસ પહેલા આરોપી સાથે મજુરી કામ અર્થે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી ફરીયાદી તથા ફરીયાદીના શેઠ પરેશભાઇ આઇસરના ટાયરમા પંચરનુ કામ કરતા હતા તે વખતે આરોપીએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાના ઇરાદે લોખંડનો સળીયો (ટોમી) થી ફરીયાદીને માથાના પાછળના ભાગે એક ઘા મારી ફરીયાદીને ગંભીર ઇજા પહોચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




