મોરબી નજીક આજે સાંજે દાટી દીધેલી એક બાળક મળી આવ્યું છે. આ બાળક હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં બાળકનો જન્મ અંદાજે 6 દિવસ પૂર્વે થયો હોવાનું પ્રાથમિક તારણ નીકળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નવાગામ – અદેપર રોડ ઉપર લક્ષદ્રીપ કારખાના પાસે રોડની બાજુમાં કોઈએ આજે સાંજના અરસામાં કોઈએ બાળકને ખાડો ખોદી દાટી દીધુ હતું. આ બાળકને મોઢે ડૂચો દેવાયો હતો ઉપરાંત મીઠું પણ છાંટવામાં આવ્યું હતું. જો કે આ બાળકને દાટવામાં આવ્યાના થોડી જ વાર બાદ ત્યાંથી એક શ્રમિક નીકળતા તેને બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો.
જેથી તુરંત બહાર કાઢી 108ને ફોન કર્યો હતો. હાલ આ બાળકને મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. આરોગ્યકર્મીઓના જણાવ્યા અનુસાર બાળક સ્વસ્થ લાગી રહ્યું છે. જેનો વજન 3.2 કિલો છે. છતાંય કોઈ સમસ્યા છે કે નહીં તે જાણવા અમુક રિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે. વધુમાં બાળકના શરીરે ભાભર સામુહિક આરોગ્ય કેન્દ્રનું ઝબલુ હતું. એટલે બાળકનો જન્મ ત્યાં થયો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.




